Published By : Parul Patel
ભરૂચના તપોવન સંકુલ ખાતે શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે આજ રોજ શ્રાવણી અમાસના શુભ દિવસે સમુહ અભિષેકાત્મક લઘુરદ્રનું આયોજન કરવામાં આવ્યું.
દેવાધિદેવ મહાદેવના અતિ પવિત્ર શ્રાવણ માસમાં તપોવન સંકુલ સ્થિત શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે પ્રતિવર્ષ ઋષિકુમારો દ્વારા વિવિધ પ્રકારના શિવલિંગનું નિર્માણ કરવામાં આવે છે, જેમાં આ વર્ષે સવાલાખ રૂદ્રાક્ષમાંથી ૧૧ ફૂટ ઊંચા શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. જેનો લાભ તા. 10 થી 15 સપ્ટેમ્બર 2023, એટલે કે શ્રાવણ વદ અગિયારસ થી શ્રાવણ વદ અમાસ સુધી આપવામાં આવ્યો હતો. આ દિવસોમાં રૂદ્રાક્ષના શિવલિંગના દર્શન, પૂજન, અભિષેક તથા આરતીનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો.

દેવાધિદેવ મહાદેવના અતિપ્રિય શ્રાવણ માસમાં શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા, તપોવન સંકુલમાં અગિયારસ થી અમાસના દિવસોમાં દરરોજ સવારે શિવસહસ્રનામનું પૂજન અર્ચન કરવામાં આવતું હતું. જેમાં પંચદિવસીય કરેલા અનુષ્ઠાનમાં કુલ એક લાખ નામ જપ કરવામાં આવ્યા હતા. જેમાં આજ રોજ શ્રાવણ માસની પૂર્ણાહુતિ નિમિત્તે, શ્રાવણ વદ અમાસના શુભ દિવસે સમૂહ અભિષેકાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવ્યું હતું.જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું.