- પ્લાન અને અન પ્લાન ગ્રાન્ટના નામે બચાવ… જનતાએ જ કૉમેન્ટમાં એનો જવાબ આપવાનો રહેશે
તાજેતરમાં કોંગ્રેસમાંથી ભાજપમાં કાર્યકર્તાઓનો જથ્થો જોડાવાના પ્રસંગે વક્તવ્ય આપતાં ભરૂચના ધારાસભ્ય શ્રી દુષ્યંતભાઈ પટેલ(ઉપ દંડક)એ રસ્તાની ગ્રાન્ટના મુદ્દે આપેલુ એક નિવેદન વાયરલ થઈ ભારે રાજકીય ગરમી સર્જી ગયું, ચૂંટણીની સીઝનમાં ભારે વિવાદિત બની રહ્યું હતું…આ મુદ્દે જોર પકડતા કોઈ અંગત સલાહકારે અથવા સ્વયં ધારાસભ્યશ્રી જાતે ‘ખુલાસા’ ના મોડમાં આવી જતાં માંડ માંડ દબાયેલી વાત પુનઃ ઊંચકાઈ છે…
સદર સ્પીચ ચેનલ નર્મદાએ પણ,કૉમેન્ટ સાથે લીધી હતી…જેમાં પ્લાન-અન પ્લાન ગ્રાન્ટના ઉપયોગની સંપૂર્ણ માહિતી કે કોઈ સ્પષ્ટતા પ્રથમ વિધાનમાં ધારાસભ્ય શ્રીએ પુરા ખુલાસા સાથે ન હતી કરી…જેથી પ્રજાએ સીધો જ હુમલો ધારાસભ્યના “બાકીના 5 કરોડ ક્યાં ખર્ચવા.?”ની સમસ્યા સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને સોશિયલ મીડિયામાં તેઓ ભારે ટ્રોલ થયાં હતાં…સામા ઈલેકશને વિવાદ થતાં છેવટે ઉપદંડકશ્રીએ પુનઃ વિઝયુઅલ મીડિયાનો સહારો લઈ વિષયવાર સ્પષ્ટતા કરી જન આક્રોશ અને રાજકિય ગેરલાભ-નુકસાનને ડેમેજ કંટ્રોલની કવાયત કરી હતી…ચેનલ નર્મદાએ પણ સદર ન્યૂઝ લીધા હોય,એ અંગેની સ્પષ્ટતા લેવા પણ એ નૈતિક રીતે બંધાયેલું છે…ભલે ધારાસભ્યશ્રી એ વાતને જરૂરી કે યોગ્ય ના સમજયું હોય…એટલું જ નહીં એ જે સમજાવે,તેને સમજીને પ્રજાને પણ એ વાત સારી રીતે સમજાવવાની મીડિયાની ફરજ છે, એટલે ચેનલ નર્મદા આ આખા ઇસ્યુ ને પુનઃ પ્રસ્તુત કરે છે…ધારાસભ્ય શ્રીની પહેલી સ્પીચ અને ત્યારબાદ નો અક્ષરસહ ખુલાસો.. સ્પીચ માં અને સ્ક્રીપટમાં હાલ પૂરતો પ્રસ્તુત કરીએ છીએ અને જે પ્રજા એમને ચુંટી લાવી હતી એ જનતાને જ જનાર્દન તરીકે,જજ તરીકે મૂકીએ છીએ…કોણ કેટલું અને ક્યાં સાચું કે ખોટું એ પેહલા પ્રજા નક્કી કરી લે,પછી જરૂર પડે મીડિયા એનો ધર્મ અદા કરશે જ કરશે…
સરકારી ગ્રાન્ટ વિશે એક MLA જેટલું જ્ઞાન કદાચ મીડિયાને ના પણ હોય,પણ હું જરૂર કોશિશ કરીશ કે આપડા જનપ્રતિનિધિઓ કઈ ગ્રાન્ટ, કયા હેતુ માટે અને ક્યાં,ક્યારે,કેટલી વાપરે છે…હું પણ ‘ડીપ સ્ટડી’ કરી ને પ્રજાનો પૈસો-સરકારી ગ્રાન્ટ,જનકલ્યાણ માટે કેટલી વપરાઈ…ને કેટલી પાછી ગઈ,કોનો કેટલો વાંક…હા,થોડો સમય ભલે લાગશે…પણ સત્ય પ્રજા સમક્ષ લાવવું પડશે…ખાસ કરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ગ્રાન્ટ..જે સીધી જનતાની સુખાકારીને સ્પર્શે છે….અને આમાં કોઈ FIR ની જરૂર પણ નથી કે ‘નિકોરા કાંડ’ જેવું અધકચરું સત્ય પ્રસ્તુત કરી ખુદ પણ બદનામ થવું પડે…
મીડિયાનો પ્રથમ ધર્મ પ્રજા પ્રતિ સંવેદનશીલ રહેવાનો છે,વફાદાર રહેવાનો છે.જનતા જનાર્દન છે…મા.ધારાસભ્યશ્રીની “દરેક વસ્તુ નો યોગ્ય જગ્યાએ વિરોધ હોય તો તો શોભે” એને અમે અમારો ધર્મ માની આવનારા 120 દિવસ નિષ્ઠા પૂર્વક વળગી રહીશું,
કારણકે એમના જ કહ્યા મુજબ ‘વિરોધ કરવો એ સહુનો ધર્મ છે’…મીડિયાનો તો ખાસ…જો તમે ભૂલો કરશો તો જાહેરમાં કાન પકડીશું…લોચા મારશો તો પ્રજા સમક્ષ પ્રસ્તુત-ખુલ્લા કરશું…સારું કરશો તો બિરદાવ્યા જ છે ને બિરદાવીશું પણ…પણ રાજકારણીઓને એમનો પ્રજા ધર્મ ભૂલવા તો નહીં જ દઈએ…અને એથી પણ વિશેષ…ભરૂચ પૂરતું તો મારા રાજકિય મિત્રોને ‘અર્થઘટન ખોટું કર્યું’ ના નામે બચાવ પણ નહીં કરવા દઈએ… શહેર નાનું છે અને બધા બધે ખુલ્લા જ હોય છે…ખાલી પ્રજા બિચારી બનીને જીવવા ટેવાઈ ગઈ છે…
મારા બ્લોગના વાચક મિત્રોને ખાત્રી આપું છું કે આ વખતે ચૂંટણીમાં આપડે કોશિશ કરીશું કે શ્રેષ્ઠ નેતાઓ ભરૂચને મળે,અને મત આપતી વખતે આપ સહુ એમને બહુ સારી રીતે ઓળખી પણ લો કે કોણે,કેટલું અને શું કર્યું છે તમારા માટે…મતદાતા પણ તૈયાર રહે સમજવા ને પ્રતિનિધિઓને એમની તાકાત સમજાવી દેવા…
હમણાં તો સહુને ગણેશ ઉત્સવની યાદો અને વિસર્જન દરમ્યાન આનંદ અવસરની શુભેચ્છાઓ…
શું કહ્યું હતું ધારાસભ્યશ્રીએ : તા.૦૪-૦૯-૨૦૨૨નું નિવેદન
મૂળભૂત જો કઈ જોવા જઈએ તો આજે એવો દિવસ છે કે મારા વિધાનસભાની ખાલી એક નાનકડી વાત રજૂ કરું… મને 10 કરોડ રૂપિયા સરકારે રોડ રસ્તા માટે આપ્યા છે.. પણ મારી પાસે 5 કરોડ રૂપિયાના રોડ મૂકવા હોય એટલા રોડ પણ નથી.. મારી પાસે એટલો વિકાસ એમ કહી શકાય કે આટલા દિવસ ની અંદર કર્યો છે. મારી પાસે એટલા રોડ જ નથી કે જ્યાં આ રોડ લખીને નોન પ્લાનના કામો આપી શકું. દરેક ક્ષેત્રની અંદર ભારતીય જનતા પાર્ટીએ વિકાસ કર્યો છે. દરેક ક્ષેત્રની અંદર જે પ્રકારે પાર્ટી કામ કરી રહી છે … જે પ્રકારે અમારું નેતૃત્વ કામ કરી રહ્યું છે.. જે પ્રકારે અમારું સંગઠન કામ કરી રહ્યું છે …. બધાને સાથે લઈને બધાને સાથે માન આપીને બનનારી આ પાર્ટી છે. અને જ્યારે આપે નિર્ણય કર્યો છે એનો તો ખરેખર આપ બધાને હું બિરદાવું છુ. અત્યારના તો એમ લાગે છે કે કોંગ્રેસ ભરુચ આખું મુક્ત થઈ ગયું હોય એવું અત્યારનું દ્રશ્ય દેખાય છે. અને આ ક્ષેત્રે હું તમામ, મારી વિધાનસભા હોય તમામ વતી હું એટલી ખાત્રી આપી શકું કે આપના અનેક વિકાસના કાર્યો જે નહીં થયા હોય અથવા તો રૂંધાયા હશે એ આવનારા દિવસોમાં એવા પ્રયત્નો થશે કે, તમામ કાર્યકર્તાઓ…. કોઈ પણ નાત જાત જાતિ વગર જોયા વગર કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર અમે આવનાર દિવસોમાં તમારા જે કાર્યો છે તે અધૂરા કાર્યો પણ આવનાર દિવસોમાં પૂરા કરીશું અને વધુ ન કહેતા તમે બધા આજે જોડાયા છો એ પરિવાર સ્વરૂપે તમે બધા અહી બેઠા છો. ભારતીય જનતા પાર્ટીમાં ફરીથી આપ સહુનું સ્વાગત છે. ભારત માતા કી જય
શું કહ્યું હવે : તા.૦૭-૦૯-૨૦૨૨નું નિવેદન
બે દિવસથી એક, 10 કરોડ રૂપિયા સરકારમાંથી મને ગ્રાંટના સ્વરૂપમાં નોન પ્લાન રોડના પાસ થયા છે અને મારે મે એવું જાહેરમાં કહ્યું હતું કે આજે સ્થિતિ એવી છે કે સરકારે એટલા બધા રૂપિયા રોડ બનાવવામાં વિધાનસભા દીઠ આપ્યા છે કે આજે મારી પાસે એ 10 કરોડની ગ્રાંટના નોન પ્લાનના રોડ લખવા હોય તો આજે એ શક્ય નથી હું એ વાતને વળગી રહું છું સરકારની વિવિધ પ્રકારની અનેક ગ્રાન્ટ રોડ માટે આવે છે. પ્રધાનમંત્રી સડક યોજના અંતર્ગત રોડની ગ્રાન્ટ આવે છે. એનએચએઆઇ એના જે નેશનલ હાઇવે હોય છે એના રોડના રીપેર અંગે અને નવીનીકરણ માટેની ગ્રાન્ટ આવે છે. સ્ટેટ આર એન્ડ બી.. સ્ટેટ આર.એન્ડ. બી ના આપણે ઉદાહરણ લઈએ તો ભરુચ કસક – ઝાડેશ્વર લઈએ , સ્ટેશન રોડ લઈએ, શ્રવણ ચોકડીથી શક્તિનાથ લઈએ , પાછળ દહેજ જતો આર.ટી.ઑ રોડ, વેજલપુર સુધીનો રોડ લઈએ , આ બધા સ્ટેટ આર.એન્ડ. બી માં રોડ આવે છે. એની ગ્રાન્ટ અલગથી આવે છે. જિલ્લા પંચાયતની ગ્રાન્ટ અલગથી આવે છે. જિલ્લા પંચાયતમાં પ્લાન રોડ આવે, નોન પ્લાન રોડ આવે, ગામડાના રોડ આવે , પછી નગરપાલિકાની ગ્રાન્ટ સિટી જે આવે છે તે નગરપાલિકાની ગ્રાંટમાંથી આવે છે સિટીના રોડની સમારકામ અને નવા બનાવવાનું કારી એ નગરપાલિકા કરે છે. પછી આવે છે જી.એસ.આર.ટી.સી. – ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એક આ સંસ્થા સરકારે બનાવી છે વર્ષોથી, અને છેક જી.એન.એફ.સી ટાઉનશીપથી લઈને દહેજ સુધીનો રોડ તેના અંતર્ગત આવે છે અને છેલ્લી વાત વર્લ્ડ બેંકમાંથી પણ અનેક વખત લોન મળે છે. તો આવી વિવિધ કેટેગરી દ્વારા ધારાસભ્ય , સાંસદ સભ્યને આવા પ્રકારનો પ્રિવિલેજ મળતા હોય છે અને કેટેગરી વાઇસ જ રોડ પ્રાપ્ત થતાં હોય છે. જે વાત મારી 10 કરોડની છે તે વાત કોંગ્રેસમાંથી 400 કાર્યકરો ભાજપમાં જોડાવાના હતા તે પ્રસંગે મે કહ્યું હતું કે સરકાર બધી જ રીતે ધારાસભ્યને ગ્રાન્ટ આપે છે તે વાત ત્યાંથી પકડી લઈને તેને પોલિટિકલ એંગલ આપવામાં આવશે કે આ રોડ દેખાતા નથી મારે એ હરખપદૂડા મિત્રોને કહેવાનું છે કે પહેલા જાણી લઈએ કે કઈ કેટેગરીની લોન છે અને શા માટે છે અને શાની માટે વાપરવાની છે જે મારા પોસ્ટર લઈને મારો પ્રચાર કરવા બદલ હું આભાર તો એમનો માનું છુ પણ સાથે સાથે જાણી લઈએ કે કેવા પ્રકારનો વિરોધ અને ક્યાં શોભે. સિઝન છે હું પણ સમજૂ છું કે અત્યારે ઇલેકશન નજીક છે એટ્લે કોઈ પણ પ્રકારના… કોઈ પણ મધ્યમથી વિરોધ કરવો… ભલે કરે, વિરોધમાં ના ના હોય, પણ જ્યારે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે જોડાયા હોય ત્યારે કોઈ પણ પ્રકારનો જૂઠો વિરોધ કરવો… જાણી લઈને વિરોધ કરે તો અમે પણ બેઠા છે અમને પણ ખ્યાલ આવે અને વિરોધ કરવો એ સર્વનો ધર્મ છે કરી શકાય ના નથી કહેતા પણ જ્યારે કોઈ પણ પોલિટિકલ પાર્ટીને એંગલ બનાવીને કરો છો ત્યારે આટલી વાત ધ્યાનમાં રાખવી બવ જ જરૂરી છે. દરેક વસ્તુનો યોગ્ય જગ્યાએ વિરોધ હોય તો તે શોભે. મારે આના વિષે બીજું કઈ કહેવું નથી. મારે ખાલી આટલું જ કહેવું હતું કે 6 – 7 આવા વિવિધ પહેલું છે કે જેની અંદરથી આપણને વિવિધ રોડ અને તેની ગ્રાન્ટ પ્રાપ્ત થાય છે. તો એના વિષેનું આ લોકોને પણ નોલેજ રહે. ગઇકાલે બે એક ફોન લોકોના હતા કે પાર્ટીના લોકોના ફોન હતા ત્યારે મે એમને સમજ પાડી ત્યારે તેઓને પણ ખ્યાલ આવ્યો કે આ ભૂલથી થયેલો વિરોધ છે. એવું એમને ટેલિફોનિક સ્વીકાર્યું. પણ જ્યારે આ વાત આટલી ઉઠી છે તો આ લોકો સુધી પણ જાય લોકો પણ એને સમજે કે વિવિધ કેટેગરીના… કોઈ કેટેગરી … એનએચએઆઇ સિટીમાં કામ ન કરી શકે, સ્ટેટ આર.એન્ડ. બી નગરપાલિકામાં કામ ન કરી શકે, નગરપાલિકા સ્ટેટ આર એન્ડ બી ના રોડમાં કામ ન કરી શકે, કે જે જી.એસ.આર.ટી.સી.નો રોડ છે ભરુચ થી દહેજનો જે જર્જરિત છે એ રોડ પર ન નગરપાલિકા, ન સ્ટેટ આર એન્ડ બી ના એનએચએઆઇ.. એ માત્ર ને માત્ર જીએસઆરટીસી માધ્યમથી જ એ રોડ રીપેર થાય અને બને. આટલી મારે લોકો સુધી વાત પહોચડવાની હતી.