- જોકે વાહનચાલકો શોધી રહ્યા છે એ ક્યાં રસ્તા છે જેનું સમારકામ રાતો રાત R & B એ કર્યું
- ₹4.30 કરોડના ખર્ચે ક્યાં માર્ગોની મરામત કરાઈ તે સવાલ હવે પ્રજા અને વાહન ચાલકોને મુંઝવી રહ્યો છે
- 51 બિસ્માર બનેલા રસ્તા પેકી 25 નું સમારકામ પૂર્ણ, 26 માર્ગની કામગીરી બાકી હોવાનો વિભાગનો દાવો, પણ મારામત થયેલા 25 માર્ગો ક્યાં તે પ્રજાને સતાવતો પ્રશ્ન
ભરૂચના માર્ગ અને મકાન વિભાગે રાતો રાત જાદુની છડી શહેર અને જિલ્લાના બિસ્માર બનેલા એવા 91 કિલોમીટરના માર્ગો પૈકી 63 KM માં ફેરવી દીધી છે. આ દાવો R & B એ જાતે જ કર્યો છે રૂપિયા 4.30 કરોડના ખર્ચે રાત દિવસ એક કરી કરાયેલી કામગીરી ક્યાં રસ્તાઓ ઉપર કરી તેની દશા સુધારાઈ તેને લઈ ભરૂચના વાહનચાલકો મુંઝવણમાં મુકાઈ ગયા છે.
વરસાદના કારણે બિસ્માર બનેલા ભરૂચના 91 કિમીના રસ્તાની તાકીદના ધોરણે મરામત કામગીરી શરૂ કરાઈ હતી. જેમાં 63 કિમીના રસ્તાની મરામત પૂર્ણ કરી દેવાઈ છે. આ દાવો R & B એ કર્યો છે. અંદાજિત ₹4 કરોડ 30 લાખના ખર્ચે કામગીરી હાથ ધરાતા વાહન ચાલકોને હાલાકીમાંથી મુક્તિ મળી હોવાની કેફિયત પણ માર્ગ અને મકાન વિભાગે વ્યક્ત કરી છે.

લોકોને રાહત પહોંચે તે માટે માર્ગ અને મકાન વિભાગ ( સ્ટેટ ) દ્વારા શનિવારથી વરસતા વરસાદમાં પણ ભરૂચના વિવિધ વિસ્તારના રસ્તાની મરામત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગેરંટી પિરીયડ ઘરાવતા સંબંધિત ઈજારાધારકો પણ રસ્તાઓમાં પેચવર્ક કરવાની કામગીરી કરી રહ્યા છે તેઓ પણ ફોડ પડાયો છે.
તંત્ર દ્વારા તાકીદના ધોરણે હાથ ધરાયેલી મરામત કામગીરીને પગલે રોડ પરથી પસાર થતા અનેક વાહન ચાલકોએ રાહત અનુભવી તંત્રની કામગીરીને બિરદાવી હોવાનું પણ ખુદ R & B જ જણાવી રહ્યું છે. ભારે વરસાદના કારણે ભરૂચ જિલ્લામાં કુલ 91 કિમીના પર રસ્તાને નુકશાન થયું છે.
જેમાં કેટલાક રસ્તાના સ્ટ્રક્ચર , સપાટી અને સાઈડ સોલ્ડર ડેમેજ થતા વાહન ચાલકોને પારવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ ભરૂચ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ ( સ્ટેટ ) દ્વારા રસ્તાની મરામત કામગીરી પર સતત ધ્યાન કેન્દ્રિત કરી દિવસ – રાત રીપેરીંગ કામગીરી ચાલુ
કરાઈ હતી. છેલ્લા 4 દિવસ દરમિયાન ફરી વરસાદ વરસતા રીપેરીંગ થયેલા રસ્તા ફરી ડેમેજ થયા હતા.

જેથી શનિવારથી માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર એ.વી.વસાવાના માર્ગદર્શન હેઠળ ટીમ સાથે સ્થળ પર પહોંચી તાકીદે મરામત કામગીરી શરૂ કરાવી હતી. જેને કારણે હાલમાં વાહન ચાલકોને ટ્રાફિક જામની સમસ્યા અને બિસ્માર માર્ગ પરથી હાલક – ડોલકભરી સ્થિતિમાં પસાર થવાની મુસીબતમાંથી મુક્તિ મળી છે.
આ અંગે ભરૂચ માર્ગ અને મકાન પેટા વિભાગ ( સ્ટેટ ) ના કાર્યપાલક ઈજનેર એ.વી. વસાવા જણાવ્યું હતું કે, જિલ્લામાં 91 કિમીના 51 રસ્તાની અંદાજે ₹4.30 કરોડના ખર્ચે મરામત કામગીરી ચાલી રહી છે. ખાસ કરીને જે રસ્તા પર સતત લોકોની અવર જવર વધુ હોય ત્યાં ટીમને તૈનાત કરી સતત કામગીરી ચાલુ રાખી છે. જેથી લોકોને રાહત મળી શકે. અત્યાર સુધીમાં 25 રસ્તાઓ પર મેટલ પેચની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે જ્યારે 26 જેટલા રસ્તાની કામગીરી હાલ પ્રગતિમાં છે. હવે પ્રજા 25 રસ્તા જે દુરસ્ત કરાયા તે ક્યાં છે તે શોધી રહી છે.