Published By : Parul Patel
- અંકલેશ્વરની મેઘમણી કંપનીમાં બન્ને કામ કરતા પ્રેમ થયો
- બે સંતાનની માતા સાથે સંબંધ પરિવાર અને સમાજ નહિ સ્વીકારે તેમ વિચારી બન્નેએ નર્મદામાં ઝપલાવ્યું
- યુવકના પણ દોઢ મહિના પેહલા જ લગ્ન થયા હતા
ભરૂચના કેબલ બ્રિજ ઉપરથી મોતની છલાંગ લાગવાર યુવક અને 14 વર્ષ મોટી પરિણીતાનો મૃતદેહ નર્મદા નદીમાંથી મળી આવ્યો હતો.
મૂળ લુણાવાડાના ડોકેલાવ ગામનો 24 વર્ષીય ગૌરાંગ ભુપેન્દ્રભાઈ પટેલની 3 વર્ષ પેહલા અંકલેશ્વરની મેઘમણી કંપનીમાં નોકરી લાગી હતી. અંકલેશ્વર GIDC યોગેશ્વર કોમ્પ્લેક્ષ ખાતે ગૌરાંગ રહી લેબ કેમિસ્ટ તરીકે ફરજ બજાવતો હતો.
મેઘમણી કંપનીમાં જ સફાઈ કામદાર તરીકે 3 વર્ષથી નોકરી કરતી અને અંકલેશ્વર મધુવન સોસાયટીમાં રહેતી 38 વર્ષીય સુમન જ્ઞાનદેવ પાટીલ જોડે પ્રેમ થઈ ગયો હતો. સુમનબેનના લગ્નને 20 વર્ષ થઈ ગયા હોય અને તેમને 13 વર્ષનો ધોરણ 8 માં અભ્યાસ કરતો પુત્ર અને 17 વર્ષની ધોરણ 12 માં ભણતી દીકરી છે.
ગૌરાંગ અને સુમન આ જાણતા હોવા છતાં સાથે 3 વર્ષથી નોકરી કરતા એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. દરમિયાન દોઢ મહિના પેહલા જ ગૌરાંગના પણ લગ્ન થયા હતા.
બંનેનો પરિવાર અને સમાજ તેઓનો આ સંબંધ નહિ સ્વીકારે જેને લઈ બંને 3 દિવસ પેહલા રાતે કોઈને કહ્યા વગર ઘરેથી ભાગી ગયા હતા.
દરમિયાન ઝાડેશ્વર કેબલ સ્ટેઇડ બ્રિજ નીચે નર્મદા નદીમાંથી ગૌરાંગ અને સુમેન બેનનો મૃતદેહ મળી આવતા ટોળા ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ સી ડિવિઝન પોલીસને કરાતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી બન્નેના પરિવારજનોને જાણ કરી હતી.
બન્ને મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હાલ તો અકસ્માત મોતનો ગુનો નોંધી બંનેએ આત્મહત્યા કરી કે કોઈ અન્ય કારણ છે તેની તપાસ ચલાવાઈ રહી છે.