Published by : Rana Kajal
શ્રી મુનિસુવ્રત સ્વામી એ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના ૨૦મા તીર્થંકર છે. જૈન ધર્મના મત મુજબ શ્રી મુનિસુવ્રત સ્વામીએ પોતાના સર્વ કર્મોનો ક્ષય કરીને પોતાના, આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા હતા. જૈન શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ જૈન રામાયણ શ્રી મુનિસુવ્રત સ્વામીના સમયમાં બની હોવાનું જણાવાયું છે. તેમના મુખ્ય ગણધર મલ્લિનાથ સ્વામી હતા.
જૈન શાસ્ત્રો અનુસાર ૧૯ મા તીર્થંકર શ્રી મલ્લિનાથ સ્વામીના જન્મ પછી ૩૪,૫૦,૦૦૦ વર્ષે બાદ શ્રી મુનિસુવ્રત સ્વામીનો જન્મ થયો હતો. આણત કલ્પ નામના દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી શ્રી મુનિસુવ્રત સ્વામીએ હરિવંશ કુળના રાણી પદ્મા અને રાજા સુમિત્રને ઘેર વૈશાખ વદ નોમના દિવસે જન્મ લીધો હતો. તેની પહેલાના જન્મમાં શ્રી મુનિસુવ્રત સ્વામી મહાવિદેહ ક્ષેત્રમાં ચંપાના રાજા હતા અને તેમનું નામ સુરશ્રેષ્ઠ હતું.

વૈશાખ મહિનાની વદ ત્રીજના દિવસે રાજગૃહીની રાણી પદ્માએ ૧૬ સ્વપ્ના જોયા. આ વાત તેમણે રાજા સુમિત્રને કરી અને રાજાએ તેનો અર્થ સૂચવતા જાણાવ્યું કે તેમને ઘેર તીર્થંકરનો જન્મ થવાનો છે. ત્યાર બાદ વૈશાખ વદ નોમના દિવસે ઈ.સ. પૂર્વે ૧૧,૮૪,૯૮૦માં શ્રી મુનિસુવ્રત સ્વામીનો જન્મ થયો હતો.
જૈન ધર્મગ્રંથો અનુસાર કુમારકાળના ૭૫૦૦ વર્ષો પછી, શ્રી મુનિસુવ્રત સ્વામીએ ૧૫,૦૦૦ વર્સો સુધી તેમના દેશ પર રાજ કર્યું. ત્યારબાદ તેઓ રાજપાટ આદિનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી સાધુ બન્યા. દીક્ષા લીધા બાદ ૧૧ મહિના સુધી તેઓ કર્મોનો ક્ષય કરતાં-કરતાં છદમસ્ત રૂપે વિચર્યા અને ત્યાર બાદ કેવળજ્ઞાન પામ્યા. કેવળ જ્ઞાન પામ્યા બાદ શ્રી મુનિસુવ્રત સ્વામી ૩૦,૦૦૦ વર્ષ સુધી વિચર્યા હોવાનું મનાય છે અને ત્યાર બાદ ફાગણ વદ બારસના સમ્મેત શિખર પર નિર્વાણ પામ્યા હતા.




