Published by: Rana kajal
- નાગરિકોએ જીવનમાં યોગને પ્રાધાન્ય આપીને દેશને સમૃદ્ધ બનાવવા હાંકલ કરતાં સાસંદ મનસુખ વસાવા
- પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રીના યોગ વિષયક પ્રવચનનું જીવંત પ્રસારણ ઉપસ્થિત નગરજનોએ નિહાળ્યું
ટેમ્પલ ગ્રાઉન્ડ ,જી.એન.એફ.સી ટાઉનશિપ ભરૂચ ખાતે જિલ્લા કક્ષાનો વિશ્વ યોગ દિવસનું આયોજન સાંસદ મનસુખ વસાવાના અધ્યક્ષપદે કરવામાં આવ્યું હતું.

અધ્યક્ષપદેથી સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે, યોગ એ ભારતીય સંસ્કૃતિ તથા ઋષિમુનિઓએ માનવજાતને આપેલ અમૂલ્ય ભેટ છે.
યોગ બાબતે લોકજાગૃતિ તથા તેમાં પણ યોગને વિશ્વફલક પર પ્રસ્થાપિત કરવાનો સાચો યશ ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જાય છે.

તંદુરસ્ત સમાજના નિર્માણ થકી જ તંદુરસ્ત રાષ્ટ્રનું નિમાર્ણ શક્ય બનશે તેમ તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું. તંદુરસ્ત રાષ્ટ્ર થકી જ આત્મનિર્ભર ભારતની સંકલ્પના સાકાર કરી શકાશે.
રોજિંદા જીવનમાં યોગને સ્થાન આપીને રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવાની હાંકલ કરી હતી. આથી તેમણે યોગમય જીવનનું નિર્માણ કરવા પણ જણાવ્યું હતું. વધુમાં તેમણે યોગથી શારીરિક તથા માનસિક વિકાસ થાય છે.

સુરતથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના તથા અમેરિકાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના યોગની મહત્તા સમજાવવતા પ્રવચનને ઉપસ્થિત લોકોએ જીવંત પ્રસારણ નિહાળ્યો હતો. આ ઉપરાંત મધ્યપ્રદેશની જબલપુરથી રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમને જીવંત પ્રસારણને નિહાળ્યો હતો.
ઉપસ્થિત નગરજનોએ તથા શાળાના વિદ્યાર્થીઓ એ સૂક્ષ્મ વ્યાયામ,વિવિધ યોગાસન તથા પ્રાણાયામ પણ કર્યા હતા.

ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ લીના પાટીલ, જિલ્લા વિકાસ અધિકારી પી.આર જોષી, નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ, યોગ પ્રશિક્ષણ ટીમના સભ્યો સહિત જિલ્લાના અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.