Published By : Patel Shital
- આત્મીય સંસ્કારધામના દરવાજા 2000 હરિભક્તો માટે બંધ
- કલેકટર કચેરીએ હરિધૂન સાથે ભક્તોનો વિરોધ
- હરિપ્રબોધ પરિવારના હરિભક્તોએ 24 કલાકમાં ઉકેલ ન લવાય તો ઉપવાસ આંદોલનની બતાવી તૈયારી
- સ્વામિનારાયણની ધૂન સાથે સોનુ-સેવા અને તન, મન અને ધન આપનાર હરિભક્તોએ ટ્રસ્ટીઓ તેમજ પ્રમુખ સામે ઠાલવો રોષ
- અત્યાર સુધી ઝાડેશ્વરની સર્વનમન વિદ્યામંદિરમાં બે જૂથોને લઈ ચાલતો હતો વિવાદ
ભરૂચ આત્મીય સંસ્કારધામ ખાતે હરિપ્રબોધ પરિવારના હરિભક્તોને સભા, ધૂન અને સત્સંગની પ્રવૃત્તિ કરતા રોકવામાં આવતા 2000 હરિભક્તોએ જિલ્લા કલેકટરના દરબારમાં પહોંચી હરિધૂન સાથે આમરણાંત ઉપવાસની પણ તૈયારી દર્શાવી છે.
ભરૂચના કોલેજ રોડ પર આવેલ આત્મીય સંસ્કાર ધામ-મંદિર યોગી ડીવાઇન સોસાયટીના અધ્યક્ષ- હરિપ્રસાદ સ્વામીજીની હયાતીમાં અને તેમના હસ્તે દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. હરિધામ સોખડાનો વિવાદ હવે અહી પણ આવ્યો છે. આ આત્મીય ધામ ખાતે નિયમિત રીતે આવતા પ્રબોધ સ્વામી જૂથના હરીભકતો ભજન, ધૂન પ્રાથના માટે પહોંચતા અહી બાઉન્સરો જોવા મળ્યા હતા. સાથે તેઓને અટકાવી પરમિશન વગર નહી આવવાની નોટિસ લગાડેલ જોતા હરિભક્તો નારાજ થયા હતા. પ્રબોધ સ્વામી જૂથના હરી ભકતોએ યોગી ડીવાઈન સોસાયટીના પ્રમુખ અને ટ્રસ્ટી વિરૂદ્ધ હોબાળો મચાવી મંદિરમાં પ્રવેશ નહી આપતા તેઓની આસ્થાને ઠેસ પહોંચી હોવાનું જણાવી હિન્દુ સંપ્રદાયને તોડવાનું કાવતરું હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. મંદિરમાં પ્રવેશ ન અપાતા ભક્તો દ્વારા રસ્તા ઉપર જ સ્વામિનારાયણ મંત્રની ધૂન કરી વિરોધ કરવામાં આવ્યો હતો. રાત્રીના આ બનાવ બાદ ગુરુવારે સવારે હરી સનાતન પ્રદેશ ભરૂચ-અંકલેશ્વર શહેર અને ગ્રામ્યના પ્રબોધ સ્વામી જૂથના 2000 હરિભક્તોએ જિલ્લા કલેકટર સમક્ષ આ મુદ્દે લેખિત આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી. કલેક્ટરાલયમાં પણ હરિભક્તોએ સ્વામી નારાયણ ધૂન સાથે 24 કલાકમાં ઉકેલ ન લવાય તો ઉપવાસ પર બેસવાની ઘોષણ કરી દીધી છે.