Published by : Vanshika Gor
આવતીકાલે દેવોના દેવ મહાદેવનો મહાપર્વ એટલે મહાશિવરાત્રિ છે. મહાશિવરાત્રિને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે, ત્યારે ભરૂચ જિલ્લામાં સમગ્ર પંથકનું સૌથી ઊંચા શિવલિંગનું નિર્માણ શકિતનાથ વિસ્તારમાં કરવામાં આવ્યું છે. ભરૂચ શહેરમાં સૌ પ્રથમવાર આ વર્ષે મહાશિવરાત્રિ નિમિત્તે શકિતનાથ મંદિરમાં ચાર પ્રહરની મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.
મહાદેવની વિધિ પૂર્વક વિધવાન બ્રાહ્મણો દ્વારા ચાર પ્રહરની પૂજા કરવામાં આવશે. સાંજે 6 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. મહાઆરતી બાદ ચાર પ્રહરની મહાપૂજાનો પ્રારંભ 22 વિધવાન બ્રાહ્મણો દ્વારા કરવામાં આવશે. ચાર પ્રહારની મહાપૂજાનું સમાપન બીજા દિવસે સવારે 7 કલાકે થશે.
ચાર પ્રહરની મહાપૂજામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન અનિવાર્ય
ચાર પ્રહરની મહાપૂજામાં ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન ફરજીયાત છે. રજિસ્ટ્રેશન બાદ તમામ સામગ્રી બાહુબલી ગ્રુપ-2 તરફથી આપવામાં આવશે.રજિસ્ટ્રેશનની ફી વ્યકિતદીઠ 251 રાખવામાં આવી છે. મહિલાઓ પૂજામાં ભાગ લઇ શકે તે વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે.
શકિતનાથ મહાદેવ મંદિર ગ્રાઉન્ડ સ્થિત મહાકાય શિવલીંગનું નિર્માણ
બાહુબલી ગ્રુપ-2 સહીત શિવભકતો દ્વારા મહાકાય શિવલીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે. મહાકાય શિવલીંગ સહીત પર્વતો બનાવવામાં આવ્યા છે. આશરે 25 ફુટ ઉંચાઈનું મહાકાય શિવલીંગનું નિર્માણ કરવામાં આવ્યું છે.