Published by : Anu Shukla
- ભલે રસ્તો પહોળો કરવામાં વૃક્ષોનું નિકંદન કરાયુ…
- વેડશીના યુવકોએ ફરી વનરાજી ખીલવવા 4 વર્ષમાં 1945 વૃક્ષો જતનથી ઉછેર્યા…
ભરૂચ જિલ્લાના લોકો અને ખાસ કરીને યુવાનો અનુકરણ કરે તો ભરૃચમાં પણ વનરાજી ખીલી ઊઠે જેમકે માયાપુર વાલોડથી વેડશી જતા માર્ગ પર પાંચ વર્ષ પહેલા રોડની બંને તરફ ઊભેલ વૃક્ષોની વનરાજી, માર્ગ પહોળો કરવાને કારણે નિકંદન કરવામાં આવ્યું હતું. જોકે, માર્ગ પહોળો થઈ ગયો, પરંતુ માર્ગની બંને તરફની વનરાજીનો અભાવ હમેશા દેખાતો હતો, જેથી વેડશીના 20 જેટલા યુવકોએ માર્ગની બંને તરફ લીલીછમ વૃક્ષોની હરિયાળી ઊભી કરવાનો સંકલ્પ વર્ષ 2018માં કર્યો હતો. અને નવા વૃક્ષો વાવવાની શરૂઆત કરી હતી. છેલ્લા 4 વર્ષમાં 1945 વૃક્ષોનું વાવેતર કરીને, જાતે જતન કરતા આવ્યા છે. જ્યાં પાણીની સુવિધા નહી હોય, એવા સ્થળોએ પાણી ભરીને સિંચન કરી વૃક્ષોને ઉછેર્યા છે.
પાંચ વર્ષમાં વૃક્ષો માર્ગની બંને તરફ મોટા થઈ ગયા છે. જેનાથી ફરી હરિયાળી થવા લાગી છે. વૃક્ષોના ઉછેર માટે અત્યાર સુધીમાં કોઈ સરકારી સગવડ યુવકોને મળી નથી, પોતાની જાતે જ વૃક્ષોનું જતન કરીને ઉછેરી રહ્યા છે. વાલોડ ગામના સર્કલથી લઇ અંબાચ સુધી રસ્તાની બંને તરફ મોટી ઘટાદાર વર્ષોથી વનરાજી હતી.પરંતુ આ માર્ગ પહોળો કરવાની સુવિધા કરવાની હોય, નડતરરૂપ આવતા ઝાડોને દૂર કરવામાં આવ્યા હતા, રોડની માર્ગની બંને તરફની વનરાજી કપાઈ જતા વન્ય પ્રેમીઓ વેડછીના યુવાનોને આ બાબતે દુઃખ થતાં ભેગા થયા હતા, અને માર્ગની બંને તરફના વૃક્ષો ભલે કપાઈ ગયા હોય, પહોળો રસ્તો થયા બાદ ફરી વૃક્ષોનું રોપણ કરી, જાતે જ જતન કરવાનું નક્કી કર્યું હતું.
વર્ષ 2018માં વેડછીના 20 જેટલા યુવાનોએ એક ગ્રુપ બનાવી અને તેમણે વાલોડથી લઈ અંબાચ સુધીમાં આવતા રસ્તાની બંને બાજુ ખુલ્લી જગ્યામાં વૃક્ષો વાવવા માટે અભિયાન ચલાવ્યું હતું, જેમાં વર્ષ 2018માં 275 વૃક્ષો, 2019 માં 1320 વૃક્ષો, 2021 માં મોટી વેડછીના ફળિયામાં 200 વૃક્ષો, 2022 માં 150 મળી કુલ 1945 વૃક્ષોની વાવણી કરવા સાથે તેનું જતન પણ કરી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં પણ નવા નવા રસ્તા બની રહયા છે ત્યારે આ અભિગમ સૂચક અને આવકારદાયક છે. ભરૂચ જિલ્લાના લોકો અને યુવાનો જો આવુ અભિયાન શરૂ કરે તો ભરૂચ જિલ્લામા વનરાજી ખીલી ઉઠે સાથેજ પર્યાવરણની અસમતુલા પણ દૂર કરવામાં મદદ થાય એમ જણાઈ રહ્યું છે.