- ઉત્તરાયણ પર્વ નિમિત્તે વનવિભાગ, પશુ ડોક્ટરો, નગરપાલિકાઓના સ્વયંસેવકો સહિત સામાજિક સંસ્થાઓ પક્ષીઓને બચાવવા માટેના તૈનાત
- ઘાયલ પક્ષીઓને બચાવવા ટોલ ફ્રી નંબર 8320002000 જાહેર કરાયો
- ઘાયલ પક્ષીઓની સેવા-સુશ્રુષા માટે 8 કલેકશન સેન્ટર તથા 13 સારવાર કેન્દ્ર કાર્યરત
પતંગના દોરાથી અનેક પક્ષીઓ દર વર્ષે પોતાનો જીવ ગુમાવતાં હોય છે. વન વિભાગ દ્વારા પક્ષીઓની માવજત, સારવાર અને બચાવ કામગીરી માટે દર વર્ષે કરૂણા અભિયાન અન્વયે કેમ્પનું આયોજન કરાય છે. આ વર્ષે પણ ભરૂચ શહેર અને તાલુકાઓ પ્રમાણે ૩૦ જેટલા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં આજથી 2૦મી જાન્યુઆરી સુધી જુદી જુદી સામાજિક સંસ્થાઓના સ્વયંસેવકો, વનવિભાગ, પશુ -ડોક્ટરો અને નગરપાલિકાના કર્મચારીઓ સ્વયંસેવકો તરીકે ફરજ બજાવી પશુઓને બચાવવા જહેમત ઉઠાવશે.
ભરૂચ તેમજ અંકલેશ્વર શહેર અને નગરપાલિકાઓ સહિત તમામ તાલુકાઓમાં કાર્યરત રહેશે. સામાન્ય જનતાએ પક્ષી ઘાયલ મળે કે દેખાઈ તો સારવાર માટે ટોલ ફ્રી નંબર 8320002000 પર ફોન કરી સારવાર માટે સંપર્ક કરી શકાશે. જિલ્લાવાર માહિતી જોઈએ તો ભરૂચ જિલ્લામાં 30 કેમ્પ ઉભા કરવામાં આવ્યા છે. જ્યાં અલગ અલગ સ્થળોએ 9 જેટલા કંટ્રોલરૂમ, 8 પશુ આરોગ્ય વિભાગના સારવાર કેન્દ્રો, ફોરેસ્ટ વિભાગના 5 જેટલા સારવાર કેન્દ્રો અને 8 કલેકશન સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે.
ભરૂચના વાઈલ્ડ લાઈફ વોર્ડન અને નાયબ વન સંરક્ષક સુશ્રી ઉર્વશિબેન પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ગત વર્ષે ભરૂચમાંથી 70 થી પણ વધુ પક્ષીઓને રેસ્ક્યુ કરી તેમના જીવ બચાવ્યા હતા. વધુમાં તેમણે જિલ્લાવાસીઓને અનુરોધ કર્યો હતો કે, આજુબાજુ કોઈ ધાયલ પક્ષીઓ દેખાઈ તો ટોલ ફ્રી નંબર પર જાણ કરી નિર્દોષ પક્ષીઓને બચાવી કરૂણા અભિયાનમાં મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો. તેમજ આ સંદર્ભે આરએફઓ મહિપાલસિંહ ગોહિલે જણાવ્યુ હતું કે, કરુણા અભિયાનમાં દર વર્ષે પક્ષીઓને રેસ્ક્યુ કરવામાં આવે છે. આ વર્ષે સારવાર અને રેસ્ક્યુ તેમજ લોકજાગૃતિના પ્રયત્નથી ઓછાં પક્ષીઓ ઇજાગ્રસ્ત થાય અને જીવ જાય તેવો પ્રયત્ન કરાશે. તાલુકાદીઠ રેશ્કયુ ટીમ ઉતારી દવાખાનાઓ સંપૂર્ણ રીતે સજ્જ કરાયાં છે.
ઉત્તરાયણમાં પક્ષીઓને ચણ ન નાખવા જોઈએઃ વનવિભાગ
વન વિભાગ દ્વારા જણાવ્યા મુજબ ઉત્તરાયણના એક સપ્તાહ અગાઉથી પક્ષીઓને ચણ નાખવાનું બંધ કરવું જોઈએ. કોઈ વાહન આવતાં પક્ષીઓ એક સામટાં ઊડતાં હોય છે, જેને કારણે દોરામાં ફસાઈ ઈજાગ્રસ્ત થતાં હોય છે.