Published By : Patel Shital
- ગત વર્ષે જિલ્લામાં ઓછા વજન સાથે 4,183 બાળકો જન્મ્યા
- જિલ્લામાં 7,893 કુપોષિત બાળકો
- 25,944 બાળકોને સંપૂર્ણ રસીકરણ આપાયું
- ભરૂચમાં 1,000 બાળકો સામે 956 બાળકીઓ
ભરૂચ જિલ્લામાં 365 દિવસમાં પ્રસુતિ દરમિયાન 17 માતાઓના અને 337 નવજાત શિશુઓના મૃત્યુ નિપજ્યા છે.

રાજ્ય સરકારની હેલ્થ મેનેજમેન્ટ એપ્લિકેશન ટેકોના ડેટા મુજબ વિતેલા 365 દિવસમાં ભરૂચ જિલ્લામાં પ્રસુતિ વેળા 17 માતાઓ મોતને ભેટી છે. તાલુકવાર માતાના મૃત્યુ જોઈએ તો ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, વાગરામાં 3 – 3 માતાના મૃત્યુ નોંધાયા છે. જ્યારે ઝઘડિયા અને આમોદમાં 2 માતા તેમજ વાલિયામાં એક માતાનું પ્રસુતિ વેળા મૃત્યુ થયું છે. હાંસોટ અને નેત્રંગમાં એક પણ પ્રસુતિનું મોત થયું નથી.

પ્રસુતિ વેળા નવજાત શિશુના મોતનો જિલ્લામાં છેલ્લા 365 દિવસમાં આંકડો 337 નો નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભરૂચમાં 82, જંબુસરમાં 58, અંકલેશ્વરમાં 56, ઝઘડિયામાં 36, આમોદમાં 26, વાગરામાં અને નેત્રંગમાં 25, વાલિયામાં 22 જયારે સૌથી ઓછા હાંસોટમાં 7 બાળકો મૃત્યુ પામ્યા છે.

વિતેલા 365 દિવસમાં એનીમિયાની ગંભીર બિમારીથી પીડિત 23 પ્રસૂતાના કેસ સામે આવ્યા છે. જ્યારે ઓછા વજન સાથે 4,183 બાળકોનો જન્મ થયો છે. વર્ષ દરમિયાન 7,893 કુપોષિત બાળકોનો જન્મ થયો છે. જિલ્લામાં પ્રતિ 1,000 બાળકોએ 956 બાળકીઓનો સેક્સ રેશિયો નોંધાયો છે. જે એકંદરે ઘણો સારો છે. વર્ષ દરમિયાન 95.42 % એટલે કે 25,944 બાળકોનું સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે.