- જિલ્લા કલેકટર, DSP, RTO, R&B સહિતના તમામ અધિકારીઓ અને તંત્રે સ્થળ નિરીક્ષણ કરી લીધા કડક પગલાં
- સવા કિમીના બ્રિજ પર ઠેર ઠેર હશે સાઈન બોર્ડ, સરફેશ કરાશે રફ અને ગતિ નિયંત્રણ માટે બીજા અનેક કદમો લાગુ
હવે ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી 40 કિલોમીટરથી વધારે ઝડપે વાહન ચલાવ્યું તો નોંધાશે ગુનો. વધતા અકસ્માતો ઉપર રોક લગાવવા તમામ વાહનોની ગતિ પર લગાવાય બ્રેક.ભરૂચની નર્મદા નદી ઉપર ગોલ્ડનબ્રિજને સમાંતર 4 માર્ગીય ₹400 કરોડનો નર્મદા મૈયા બ્રિજ કાર્યરત થયાને બે વર્ષ પૂર્ણ થઈ ગયા છે. જોકે નવા ફોરલેન બ્રિજ પર ગતિની મજા માણતા હજારો વાહનચાલકોને લઈ છેલ્લા કેટલાક સમયથી લગાતાર અકસ્માતોનો સિલસિલો જોવા મળી રહ્યો છે.
રવિવારે રાતે વરસતા વરસાદમાં 3 વાહનો અને એક એક્ટિવા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં મોપેડ ચાલક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું.જિલ્લા વહીવટી તંત્રે નર્મદા મૈયા બ્રિજ અકસ્માત ઝોન બની રહ્યો હોય જેની ગંભીર નોંધ લઈ સોમવારે આખે આખું તંત્ર બ્રિજના નિરીક્ષણ કરવા પોહચ્યું હતું.

ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા, પોલીસ વડા ડો. લીના પાટીલ, RTO, R એન્ડ B સહિતના ઉચ્ચ અધિકારીઓ તેમજ ટીમોએ બ્રિજની મુલાકાત લીધી હતી.નર્મદા બ્રિજ પર વધતા જતા અકસ્માતોનું કારણ તપાસતા પ્રાથમિક દ્રષ્ટિએ બ્રિજના માર્ગની સરફેશ વધુ પોલિશ હોય. વાહનો વધુ ઝડપે જતા હોવાનું અને ઓછી લાઇટિંગનું કારણ સામે આવ્યું હતું.
જિલ્લા વહીવટી તંત્રે તમામ શકયતા, તારણો અને કારણો તપાસી આજથી જ બ્રિજ પરથી પસાર થતા તમામ વાહનોની સ્પીડ 40 ની કરી દીધી છે. બ્રિજ પર લાઇટો વધારવામાં આવશે.અમુક અંતરે સાઈન બોર્ડ મુકવા સાથે રસ્તાની ઉપરી સપાટીને રફ કરવાનો નિર્ણય લેવાયો છે. વધુમાં એક્સિડન્ટ અટકાવવા રીફલેક્ટરો મુકવા સાથે વાહનોની મર્યાદિત રહે તે માટેની કામગીરી પણ હાથ ધરવામાં અવનાર છે. જિલ્લા વહીવટી તંત્ર કમિટી નિમિ સમયાંતરે બ્રિજનું મોનીટરીંગ કરતું રહેશે.