- ચાલુ ટ્રેને ચઢવા-ઉતરવા જતા, ટ્રેન સામે પડતું, પાટા ઓળંગતા સર્જાયેલા રેલ અકસ્માતો
- પાલેજથી પાનોલી વચ્ચે ભરૂચ સેક્શનમાં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી સર્જાયેલા અકસ્માતના બનાવો
માત્ર ભરૂચ જિલ્લાની હદ વિસ્તારની વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના પાલેજ રેલ્વે સ્ટેશનથી લઇ પાનોલી રેલ્વે સ્ટેશનની 70 કિલોમીટરના હદ વિસ્તારમાં જ ટ્રેનમાંથી પડી જવા અથવા ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરવું, ટ્રેનની અડફેટે આવી મોત નિપજવું સહિતની ઘટનામાં ચાલુ વર્ષે જાન્યુઆરીથી લઇ 23 સપ્ટેબર સુધીના સમયગાળામાં જ 65 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું પોલીસ ચોપડે નોંધ થવા પામી છે. જેમાં કેટલાક બનાવોમાં મૃતકના વાલી વારસ મળ્યા છે તો કેટલાય બિનવારસી લોકો હોવાનું સામે આવ્યું છે.

ભરૂચ જિલ્લામાં રેલ્વેની હદમાં ચાલુ વર્ષે થયેલ ટ્રેન અકસ્માતની ઘટનાઓમાં મૃતકોની વધતી જતી સંખ્યા ખૂબ જ ગંભીર ગણી શકાય તેમ છે. રેલવે વિભાગમાં થઈ રહેલા આ પ્રકારના અકસ્માતમાં રોજના કેટલાય લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે રેલ્વેમાં મુસાફરી દરમિયાન કાળજી રાખવી ખૂબ જ જરૂરી જણાઈ રહ્યું છે. રેલ્વે પોલીસમાં નોંધાયેલ મૃતકોમાં કોઈકનું ચાલુ ટ્રેને પડી જતા મોત નીપજ્યું છે, તો કોઈકે ટ્રેન સામે પડતું મૂકી જીવ ગુમાવ્યો છે, તો કેટલાક બનાવોમાં ટ્રેન ક્રોસિંગ દરમિયાન અકસ્માતે મોત થયા છે, તો કેટલીક ઘટનાઓમાં ચાલુ ટ્રેને ચઢતી વેળા અકસ્માતમાં મોત નિપજ્યા છે, તેમજ સ્ટેશનોમાં વસવાટ કરતા ભિક્ષુક લોકો પણ કુદરતી રીતે મોતને ભેટે છે. તેવા તમામ બાબતોમાં અત્યાર સુધી 65 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે.