Published by : Anu Shukla
- ભૂખી ખાડી પર ભેંસલી નજીક ચેકડેમ બનાવવા ધારાસભ્ય અરુણસિંહ રણાની મુખ્યમંત્રીને રજુઆત.
- નર્મદા કેનાલમાં ગાબડું પડવાના કેસમાં ખેડૂતોને વળતર ચૂકવવા પણ ભલામણ કરી.
ભાડભૂત બેરેજ યોજના પૂર્ણ થશે ત્યારે ભૂખી ખાડીમાં દરિયાના ખારા પાણી ભરાઈ જતા ખેતીને થનારા સંભવિત નુકસાનને અટકાવવા ભૂખી ખાડી પર ભેંસલી પાસે ચેકડેમ બનાવવા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ રાજ્યના મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરી રજુઆત કરી હતી. નર્મદા કેનાલમાં પડેલ ગાબડાથી ખેડૂતોને નુકશાન થતા તેમને યોગ્ય વળતર આપવા માટે પણ મુખ્યમંત્રીને અપીલ કરી હતી.

ભાડભૂત બેરેજ યોજના એ ભરૂચ જિલ્લાની બહુઆયામી અને આશાસ્પદ યોજના છે. પરંતુ આ યોજનાના પગલે ભૂખી ખાડીમાં દરિયાની ભરતીના ખારા પાણી ભળી જતા 45 ગામોની જમીનની ખેતીને નુકશાન થવાની સંભાવનાઓ ઉભી થઇ છે. દરિયાના ખારા પાણીને ભૂખી ખાડીમાં આવતા અટકાવવા માટે ભેંસલી પાસે ભૂખી ખાડી પર ચેક ડેમ બનાવવા માટે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લેખિત અને મૌખિક રજૂઆત કરી છે.
સાથે તાજેતરમાં જ નર્મદા યોજનાની અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ડભાલી ગામ પાસે ગાબડું પડતા આસપાસના વિસ્તારના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે ખેતીના ઉભા પાકને નુકશાન થયું હતું. ખેડૂતોએ ધારાસભ્ય અરુણસિંહ રણાને આ અંગે રજુઆત કરતા તેમણે આ અંગે પણ મુખ્યમંત્રીને રજુઆત કરી ખેડૂતોને યોગ્ય વળતર આપવા અપીલ કરી હતી.