ભારત અને ચીન વચ્ચે હિંદ મહાસાગરમાં ઉંદર-બિલાડીની રમત હજી ચાલુ જ છે. પૂર્વ લદ્દાખમાં બંને દેશોના લશ્કરો હજી આમનેસામનગોઠવાયેલા છે. ભારત આવતા સપ્તાહે લાંબા અંતરની બેલિસ્ટિક મિસાઇલ અગ્નિ ફાઇવનું પરીક્ષણ કરવાનું છે ત્યારે જ ચીનના જાસૂસી જહાજે હિંદ મહાસાગર વિસ્તારમાં પ્રવેશ કર્યો છે જેને કારણે ફરી માહોલ ગરમાયો છે. ઓગસ્ટમાં શ્રીલંકાના હંબનટોટ્ટા બંદરે આ જ ચીની રિસર્ચ એન્ડ સ્પેસ ટ્રેકિંગ જહાજ યુઆન વાંગ -ફાઇવ લાંગરવાને પગલે ભારતે શ્રીલંકા વચ્ચે રાજદ્વારી ટપાટપી થઇ હતી.
સોમવારે સવારે આ જહાજ ઇન્ડોનેશિયાની સુંદા સામુદ્રધુનિ મારફતે હિંદ મહાસાગરમાં પ્રવેશ્યુ છે ત્યારથી ભારતીય નૌકાદળની નજર તેના પર નોંધાયેલી છે. પંદર અને સોળ ડિસેમ્બરે ઓડિશાના દરિયા કિનારે અબ્દુલ કલામ ટાપુ પરથી બંગાળના ઉપસાગર પર અગ્નિ ફાઇવ મિસાઇલનું પરીક્ષણ થવાનું હોઇ ભારતે નોટિસ ટુ એરમેન આપી નો ફ્લાય ઝોનને બંગાળના ઉપસાગર સુધી વિસ્તાર્યો હતો. આ જ સમયે ચીને ૪૦૦ ખલાસીઓ તથા તમામ પ્રકારના વિજાણુ ઉપકરણોથી સુસજ્જ ૨૦,૦૦૦ ટનના જહાજ યુઆન વાંગ-ફાઇવનો હિંદ મહાસાગરમાં પ્રવેશ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ હજાર કિલોમીટરની રેન્જ ધરાવતી અગ્નિ ફાઇવ મિસાઇલનો ત્રણે પાંખના બનેલા સ્ટ્રેટેજિક ફોર્સીસ કમાન્ડ-એસએફસી-માં સ માવેશ કરવાની પ્રક્રિયાના ભાગરૂપે તેનું પરીક્ષણ કરવામાં આવશે. ત્રણ તબક્કાની આ મિસાઇલની પ્રથમ યુઝર ટ્રાયલ ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં કરવામાં આવી હતી.હવે જોવાનું એ છે કે ભારત તેનું મિસાઇલ પરીક્ષણ કરે છે કે મુલતવી રાખે છે. ગયા મહિને હિંદ મહાસાગરમાં ચીનના જહાજ યુઆન વાંગ-૬ ની ઉપસ્થિતિને કારણે ભારતે તેની ત્રણ હજાર કિલોમીટરની રેન્જ ધરાવતાં અગ્નિ મિસાઇલ-૩નો ટેસ્ટ થોડા દિવસો માટે મુલતવી રાખ્યો હતો. ભારત ચીનના આ જાસૂસી જહાજોની આવનજાવન સામે વાંધો લઇ શકે તેમ નથી. ચીનના આ જાસૂસી જહાજો હિંદ મહાસાગરમાં મોજૂદ હોય તો મિસાઇલને ટ્રેક કરી શકે છે.