ભારત સરકારે સપ્ટેમ્બર 1960ની સિંધુ જળ સંધિ (IWT)માં સુધારા માટે પાકિસ્તાનને નોટિસ પાઠવી છે. સરકારે કહ્યું છે કે પાકિસ્તાનના ખોટા પગલાએ સિંધુ જળ સંધિની જોગવાઈઓ અને તેના અમલીકરણ પર પ્રતિકૂળ અસર કરી છે અને ભારતને IWT ના સંશોધન માટે નોટિસ જારી કરવાની ફરજ પડી છે. ભારત સરકારે કહ્યું કે ભારત દ્વારા પરસ્પર મધ્યસ્થી માર્ગ શોધવાના વારંવારના પ્રયાસો છતા પાકિસ્તાને 2017 થી 2022 દરમિયાન કાયમી સિંધુ કમિશનની પાંચ બેઠકો દરમિયાન આ મુદ્દા પર ચર્ચા કરવાનો ઇનકાર કર્યો છે. સરકારે કહ્યું કે આ કારણોસર હવે પાકિસ્તાનને નોટિસ પાઠવવામાં આવી છે.
સિંધુ બેસિનની છ નદીઓના પાણીની વહેંચણી પર ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960ની સિંધુ જળ સંધિ (IWT) ની જોગવાઈઓ અનુસાર – બંને દેશો પાસે સિંધુ કમિશનરેટ અને કાયમી સિંધુ કમિશન છે. જે ભારત અને પાકિસ્તાનમાં એકાંતરે દર વર્ષે ઓછામાં ઓછા એક વખત મળે છે. સિંધુ બેસિનની છ નદીઓમાંથી, ત્રણ પૂર્વીય નદીઓ – સતલજ, બિયાસ અને રાવી પર ભારતનો સંપૂર્ણ અધિકાર છે, જ્યારે પાકિસ્તાનનો પશ્ચિમી નદીઓ – ચેનાબ, ઝેલમ અને સિંધુ પર અધિકાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ‘સિંધુ જળ સંધિ’ છે, પરંતુ પાકિસ્તાનને ભારતની નદીઓમાંથી મોટા પ્રમાણમાં વધારાનું પાણી મળે છે.