Published by : Rana Kajal
- ભરૂચમાં પિતાનું કોરોનામાં મૃત્યુ થયા બાદ માતાની દેખરેખની ચિંતામાં દીકરીએ લગ્ન વિના મેળવ્યું માતૃત્વ
ભરૂચની નરનારાયણ સોસાયટીની યુવતીએ પિતાનું કોરોનામાં મોત થયા બાદ માતાની દેખરેખના કારણે લગ્ન કરવાનું ટાળ્યું હતું. માતૃત્વ મેળવવા માટે લગ્ન વિના કુત્રિમ ગર્ભ દ્વારા બાળકીને જન્મ આપી મધર્સ ડે નિમિતે દરેક માતાને એક જનજાગૃતિનો સંદેશો આપ્યો છે.
સામાન્ય રીતે લગ્ન વિના કોઈ માં બની હોય તો તેને કુંવારી માં કહેવામાં આવે છે અને તિરસ્કારની દ્વષ્ટિએ પણ જોતાં હોય છે. ઘણા બધા લોકોના મગજમાં નેગેટિવ પ્રશ્નો પણ ઉદભવતા હોય છે પરંતુ પતિ પ્રેમ વિના પણ યુવતી કુંવારી માતા બની શકે છે.સેલિબ્રિટી અને અમીરોમાં સિંગલ મધર કે ફાધરનું ચલણ વિશેષ જોવા મળે છે. પણ સામાન્ય પરિવાર અને મધ્યમ વર્ગમાં આવા કિસ્સા અને તે માટેની હિંમત જવલ્લેજ જોવા મળે છે. કારણ કે આપણી સોસાયટી, સંબંધીઓ અને પરિચિતો તેમજ સમાજ તેને સ્વીકારતો નથી.પણ ભરૂચની યુવતીએ આ તમામ ટીકા ટિપ્પણીઓ અને સમાજની વાતોને પાછળ છોડી નવી મિશાલ કાયમ કરી છે. જેનો જીવતો જાગતો દાખલો ભરૂચ જિલ્લાના નરનારાયણ સોસાયટીમાંથી સામે આવ્યો છે. ડીમ્પીબેને કેન્સરગ્રસ્ત ભાઈના મોત અને પિતા નું કોરોનાથી મોત થયા બાદ પોતાની અર્થાઈટીસની બીમારીથી પીડાતી માતાની ચિંતા કરી લગ્ન કરવાનું ટાળ્યું હતું. લગ્ન કરી લઈશ તો માતાનું શું થશે તેની દેખરેખ કોણ કરશે પતિ અને માતા વચ્ચે પ્રેમ વેચાઈ જશે જેવા અનેક પ્રશ્નો મૂંઝવતા આખરે માતાની ચિંતામાં દિકરી ડિમ્પીબેન જગદીશ પરમારે માતૃત્વ પ્રેમ મેળવવા માટે વિવિધ સ્થળે આધુનિક ટેકનિક માટે સંપર્ક કર્યા. પણ ગુજરાત મા તે માટે કોઈ પ્રતિસાદ મળ્યો નહિ. અંતે મુંબઈ અંધેરી ખાતે એક હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ કરાવી નોવા આઈવીએફ દ્વારા તેણે માતૃત્વ પ્રેમ મેળવવાના પ્રયાસ કર્યો અને સફળતા પણ મેળવી ડિમ્પીબેન જગદીશ પરમારે લગ્ન વિના માતૃત્વ મેળવવા કુત્રિમ ગર્ભ ધારણ કરી બાળકીને 22 એપ્રિલ 2022 એ જન્મ આપ્યો અને બાળકીનું નામ ધ્યાના રાખ્યું. લગ્ન વિના માતૃત્વ પ્રેમ મેળવવા માટે માતાએ કુત્રિમ ગર્ભથી મેળવેલી બાળકીને પિતા તરીકે તેણીએ પોતાનું નામ ડિમ્પીબેન પરમાર આપ્યું છે. સિંગલ મધર્સનો આ પ્રકારનો કદાચ જિલ્લામાં અને રાજ્યમાં પ્રથમ જ કેસ હશે.
