Published By : Parul Patel
અસ્મિતા વિકાસ કેન્દ્ર દ્વારા મનો દિવ્યાંગ બાળકો પાસે રંગબેરંગી વિવિધ પ્રકારના આકર્ષક કોડીયા, તુલસી દીવા, મટુકી દીવા બનાવડાવી સમાજની મુખ્ય ધારામાં જોડવાનો સંનિષ્ઠ પ્રયાસ.

દિવાળી પૂર્વે પંકજ – પ્રિયમ વ્યવસાય તાલીમ કેન્દ્ર દ્વારા દિવાળી નજીક આવી રહી છે ત્યારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, કારણકે અહીં મનો દિવ્યાંગ બાળકો રંગબેરંગી વિવિધ પ્રકારના આકર્ષક કોડીયા, તુલસી દીવા, મટુકી દીવા બનાવી રહ્યા છે. ખાસ કરીને આ ટ્રેનિંગ સેન્ટરમાં 20 વર્ષથી ઉપરના બાળકોને આપવામાં આવતી હોય છે. એટલે આ બાળકોને આગળ જતા ભવિષ્યમાં તેનું વ્યવસાયી સ્થાપન કરી શકાય તેવો સંસ્થાનો મુખ્ય હેતુ છે. અહી ખાસ કરીને બાળકોમાં નિયમિતતા, સ્વચ્છતા, પરીપકવતા આ બધા ગુણોનો વિકાસ થતો હોય છે. જે આગળ જતાં તેઓને ધંધા રોજગાર વિકસાવવામાં મદદરૂપ થાય છે. સંસ્થાનો હેતુ ફક્ત બાળકોએ બનાવેલ વસ્તુઓ વેચવાનો નથી, પણ આ બધા કાર્યો દ્વારા બાળકોમાં વ્યવસાયના ગુણો લાવવાનો પણ એક પ્રયત્ન કરવામાં આવે છે. જેથી આ બાળકો પણ સમાજમાં ગૌરવભેર જીવી શકે.
જે પ્રમાણે દિવાળીના સમયમાં ચાઇનાથી આવતી સામગ્રીનો હવે લોકોની જાગૃતતાના કારણે બહિષ્કાર થઈ રહ્યો છે. ખાસ કરીને મેડ ઇન ઇન્ડિયા મેક ઇન ઇન્ડિયાને પણ આવકારવામાં આવી રહ્યું છે. ત્યારે આવા દિવ્યાંગ બાળકોના કાર્યમાં મદદરૂપ બની અને આ બાળકોએ બનાવેલ વસ્તુઓની ખરીદી કરી આપણા તહેવારોની ઉજવણી કરીએ એવી અસ્મિતા વિકાસ કેન્દ્ર ભરૂચ વાસીઓને પણ અપીલ કરે છે.

સંસ્થાના સ્થાપક શ્રી પ્રવીણભાઈ પટેલ તથા ટ્રસ્ટ મંડળ દ્વારા અથાગ પ્રયત્નોથી ચલાવવામાં આવતા આ ઉત્કૃષ્ટ કાર્યને આગળ ધપાવવા માટે સંસ્થાના સ્ટાફ અને કર્મચારીઓ દ્વારા પણ અથાગ પરિશ્રમ કરી આ મનો દિવ્યાંગ બાળકોને જીવન જીવવા માટે જરૂરી તમામ તાલીમ આપવામાં આવે છે.