Published by : Rana Kajal
- મહામારીમાં પણ માલસામોટમાં કોરોનાનો એકપણ કેસ નોંધાયો ન હતો
- રાજપીપલાના ભ્રહ્યમપુત્ર હોસ્ટેલ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની પ્રાકૃતિક સૌંદર્ય અને હરિયાળી વચ્ચે વૃક્ષારોપણ કરી ઉજવણી
- પર્યાવરણના રક્ષણ માટેની સૌએ પ્રતિજ્ઞા લીધી, જાગૃતિ સંદેશ માટે સાયકલ રેલી યોજાઈ

નર્મદા જિલ્લામાં ભરૂચ-નર્મદા સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિ અને અધ્યક્ષસ્થાને પ્લાસ્ટિકથી થતા પ્રદૂષણ નિવારણ થીમ અંતર્ગત રાજપીપલાની ગુજરાત ફોરેસ્ટ રેન્જર કોલેજ ભ્રહ્યમપુત્ર હોસ્ટેલ વડીયા પેલેસ કેમ્પસ ખાતે જિલ્લા કક્ષાના કાર્યક્રમની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

સાંસદ વસાવાએ જણાવ્યું કે, માનવીનું જીવન પ્રકૃતિ અને જીવસૃષ્ટિ પર આધારિત છે. વનો નષ્ટ થશે તો આદિવાસીઓનું જીવન આવનારા સમયમાં જોખમમાં મૂકાશે. પૃથ્વીનો પ્રત્યેક જીવ એક યા બીજી રીતે પર્યાવરણ સાથે જોડાયેલો છે. પર્યાવરણ સંરક્ષણ જાળવણી માટે આજે આપણે સૌ સંકલ્પબદ્ધ બનીએ અને નાના-મોટા પ્રયાસ કરી વૃક્ષો વાવીએ, જતન કરીએ.

કેન્દ્ર-રાજ્ય સરકાર દ્વારા વૃક્ષોના જતન માટે અનેકવિધ પ્રયાસો અને યોજનાઓ અમલમાં મૂકી છે. તેમાં પણ સારી કામગીરી થઈ રહી છે. જેથી વન વિભાગ દ્વારા પર્યાવરણના સંરક્ષણ માટે વધુ લોકોને પ્રોત્સાહન મળે તે માટે પ્રયત્નો કરે અને પ્રત્યેક નાગરિકે પોતાની સૃષ્ટિ પર્યાવરણને બચાવવા દેશના યોગદાનમાં પોતાની જવાબદારી સમજીને સહભાગી થઈ ગુજરાતને હરિયાળું વનોથી ભરપુર બનાવે તે આજના સમયની માંગ છે.

ગત વર્ષોમાં કોરોના મહામારી આવી હતી પણ માલસામોટ જેવા વિસ્તારમાં એક પણ કોરોના કેસ નોંધાયો નથી. ત્યાંનું વાતાવરણ અને વૃક્ષોનું ઓક્સિજન આપવાની પ્રક્રિયા અમૂલ્ય છે. અને તેમણે ઉદ્યોગોને ટકોર કરતા જણાવ્યું કે, તેમાં પણ વૃક્ષ ઉછેરમાં ટાર્ગેટ પ્રમાણે વૃક્ષારોપણ કરી પર્યાવરણની જાળવણીમાં મદદ કરે.

રેન્જ ફોરેસ્ટના તાલીમાર્થીઓ દ્વારા અધિકારીશ્રીઓએ પણ પર્યાવરણની જાળવણી માટે સાયકલ રેલી થકી લોકોને સંદેશો આપ્યો હતો. રેલીનું પ્રસ્થાન સાંસદે લીલી ઝંડી આપીને કરાવ્યું હતું.
