Published by : Rana Kajal
- 1200થી 1500 કરોડની બેનામી સંપત્તિ’, RTI કાર્યકરના સનસનાટીભર્યા આક્ષેપો…… ભરૂચના RTI કાર્યકરો પણ આવનારા દિવસોમા આવી ભૂમિકા ભજવશે એવી લોકોને અપેક્ષા….
સમગ્ર ગુજરાતમાં બ્રિજની ગુણવત્તા સામે સવાલો ઊઠી રહ્યા છે. ત્યારે તાજેતરમાં અમદાવાદ શહેરમાં 40 કરોડના ખર્ચે નવનિર્મિત હાટકેશ્વર બ્રિજ તોડી પાડવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ, બ્રિજ વિવાદ વચ્ચે નાના-મોટા રસ્તાઓની દેખરેખની જેમના શિરે જવાબદારી છે તેવા માર્ગ અને મકાન વિભાગના વડા એટલે કે સચિવ સંદીપ બી. વસાવા સામે સામાજિક કાર્યકર કિશોર નથવાણીએ તીર તાંક્યું છે. તેમણે સંદીપ વસાવા સામે આક્ષેપ કર્યો છે કે તેમણે અમેરિકા સહિતના દેશોમાં સંપત્તિ, પરિવારજનો અને મિત્રોનાં નામે બંગલાઓ તથા જમીનો વસાવી છે. જો તપાસ થાય તો 1200થી 1500 કરોડની બેનામી સંપત્તિ બહાર આવવાનો દાવો કર્યો છે.
આ આક્ષેપો કરનાર કોણ છે અને કેમ કર્યા છે વગેરે જાણવા માટે સામાજિક કાર્યકર તથા RTI એક્ટિવિસ્ટ કિશોરભાઇ નથવાણીનો સંપર્ક કર્યો હતો. તેમણે સંદીપ વસાવા સામે સનસનીખેજ આક્ષેપો કર્યા હતા તેમજ તેમણે કરેલી લેખિત ફરિયાદથી માંડીને તેમની તથા તેમના પરિવારના નામની મિલકતો અંગેના કેટલાક દસ્તાવેજો રજૂ કર્યા હતા જામનગરના રહીશ અને હાલ અમદાવાદમાં રહેતા RTI એક્ટિવિસ્ટ કિશોરભાઇ નથવાણીએ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં માર્ગ અને મકાન વિભાગમાં RTI અને ફરિયાદો કરેલી છે. એસીબી મારફત મેં ટ્રેપ પણ કરાવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સંદીપ વસાવાએ સાયન્સસિટી રોડ પર ડિવાઇન હાઇલેન્ડ નામની સ્કીમમાં એક બંગલો લીધેલો છે. સંદીપ વસાવા એ બંગલામાં રહેતા હતા. ત્રણથી ચાર વર્ષ પહેલાં આ બંગલાનો વિવાદ પણ સચિવાલયમાં ચાલ્યો હતો, પરંતુ એ બંગલો સંદીપ વસાવા, તેમનાં માતુશ્રી અથવા તો તેમનાં પત્નીના નામે છે. તેમના માતુશ્રીનું નામ પણ બંગલા પર લખેલું છે સબ રજિસ્ટ્રારમાંથી તેની ઇન્ડેક્સની નકલ લાવીશું કે કોના નામની મિલકત છે. તેમણે મિલકત વેચી નાખી હોય તો મૂળ કોના નામે હતો એ અંગે પણ અમે ઊંડાણપૂર્વક તપાસ કરીશું, જેથી હકીકત ખબર પડે કે આ વ્યક્તિએ મિલકત ક્યાંથી ખરીદેલી છે. સાયન્સસિટીનો બંગલો રૂ 12થી 15 કરોડનો હોવો જોઇએ. અત્યારે એ બંગલાને તાળાં મારી સંદીપ વસાવા ગાંધીનગર સરકારી બંગલામાં રહેવા જતા રહ્યા છે એટલા માટે કે સંદીપ વસાવાની પોલ દિન-પ્રતિદિન ખૂલવા લાગી હતી.RTI એક્ટિવિસ્ટ કહે છે, કે . મને એવી પણ માહિતી મળેલી છે કે સીજી રોડ પર બેથી ત્રણ શોપ છે, જે ભાડેથી આપેલી છે. એ પણ તપાસ એજન્સીને સુપરત કરીશું.
વડોદરા વાઘોડિયામાં તેમનાં પત્નીના નામે બંગલો છે એવું તેમના જ વર્તુળમાંથી જાણવા મળ્યું છે. એની ઇન્ડેક્સની નકલ અમે શોધી રહ્યા છીએ. અમે સબ રજિસ્ટ્રારમાં તેમણે જ્યાં જ્યાં મિલકત વસાવી છે એ માટે આરટીઆઇ કરી છે અને હજુ અમે કરવાના છીએ. જો આ બાબતે સરકાર તરફથી કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમારે એસીબીની કોર્ટમાં ફરિયાદ કરવાની ફરજ પડશે
‘હવે તે અમેરિકા તથા આઉટ ઓફ કન્ટ્રીમાં રોકાણ કરે છે. તપાસમાં ખૂલશે ત્યારે બધું બહાર આવશે. અત્યારે બોલવું હિતાવહ નથી. તેઓ અમેરિકા વધુ આવતા-જતા હોય છે. હવે ગુજરાતમાં પોતાના મિત્રોના નામે મિલકત ખરીદે છે. પોતાના નામની મિલકત વાઇન્ડઅપ કરવાનું શરૂ કર્યું છે, પણ તેમણે અમુક મિલકતો જોઇન્ટમાં લીધેલી છે. તે તપાસ કરનારને સુપરત કરીશું. આવા ભ્રષ્ટાચારીઓ અને સરકારની તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન કરનારને સબક શિખવાડવા અને તેમને ખુલ્લા પાડવાનું માત્ર ને માત્ર કામ છે. આવનારા દિવસોમાં તેમની સામે એક એફિડેવિટ પણ કરવાના છીએ કે અમને કાંઇ થશે તો આ વ્યક્તિ તથા તેમની સાથે જે ભ્રષ્ટાચારીઓ છે તેની જવાબદારી રહેશે. એટલા માટે, કેમ કે આ લોકો ગમે તે હદ સુધી જઇ શકે છે. શું કામ, કેમ કે આનું કારણ એ છે કે તેમની તથા તેમના પરિવારની સંપત્તિ પર તરાપ લાગેલી છે.’
વિદેશપ્રવાસ કેટલી વખત કરેલા છે એ અંગે સામાન્ય વહીવટ વિભાગમાં મંજૂરી લીધેલી છે, પરંતુ અનેક વખત સંદીપ વસાવા તથા તેના પરિવારે મંજૂરી વગર વિદેશપ્રવાસો કરેલા છે. બીજી એક મોટી વાત એ છે કે પાંચ-છ વર્ષ પહેલાં મહારાષ્ટ્રની બે કંપની છે, જેમાં સંદીપ વસાવાનું મોટું રોકાણ થયેલું છે.
સંદીપ વસાવા નર્મદા જિલ્લાના રાજપીપળા તાલુકાના રાજુવાડિયાના વતની છે. તેમના પિતા ભાનુભાઈ કસ્ટમ્સ ઓફિસર હતા. તેઓ ઘણા સારા અને સજ્જન વ્યક્તિ હતા. સંદીપ વસાવા તથા તેમના ભાઇ સંતોષ વસાવા તેમજ માતુશ્રી અને સંદીપ વસાવાનાં પત્નીની મિલકત છેલ્લાં દસથી 15 વર્ષમાં એકાએક વધવા લાગી છે. મારા ખ્યાલ મુજબ અધિક ઇજનેર તથા મુખ્ય ઇજનેર હતા ત્યારે તેમણે રાજુવાડિયા તથા અન્ય ગામમાં પોતાના પિતા તથા પરિવારના સભ્યો માતુશ્રી તથા ભાઇના નામે જમીનો લીધેલી છે. બીજું કે તેમના સરકારી રેકોર્ડ પર નોંધાયેલા દસ્તાવેજો કઢાવ્યા છે, જે અમે સરકાર સહિત મીડિયાને મોકલ્યા છે. નવાઇની વાત એ લાગે છે કે પોતે મિલકત ખરીદે તો ગુનેગાર બની શકે છે, એટલે સંદીપ વસાવા ક્રિમિનલ માઇન્ડ વાપરીને તેમનાં નાની-નાના, સાસુ-સસરાના નામે મિલકત ખરીદે છે. પાછળથી તેઓ આ મિલકત તેમની દીકરીને આપી દે છે. એ જ રીતે સંદીપ વસાવાએ માતુશ્રીના નામે મિલકત ખરીદી છે. તેઓ તેમની દીકરી-દીકરાઓના નામે કરી દે છે. આખુંય પ્લાનિંગ કરીને મિલકત વસાવવાનું એક ષડ્યંત્ર કર્યું છે, જેથી પોતે કોઈ સકંજામાં આવે નહીં.’
એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે આદિવાસી પરિવારને સરકાર દ્વારા 73 એએની જમીનો મળતી હોય છે, જે 73 એએની એક-બે જમીનો છે પણ ખરી, જે તેમના પિતાના નામે જૂની આવેલી જમીનો છે, જે તેમણે ખરીદી નથી.
તેમણે વધુમાં આક્ષેપ કરતાં કહ્યું હતું કે તપાસ થાય તો 1200થી 1500 કરોડની બેનામી સંપત્તિ બહાર આવશે. એમાં શંકાને કોઇ સ્થાન નથી. નર્મદા અને ભરૂચ જિલ્લામાં તેમણે ફરજ બજાવેલી છે. તેમણે જ્યાં જ્યાં ફરજ બજાવેલી છે ત્યાં તેમનું નેટવર્ક ઊભું થતું હોય છે. તેમની સાથે સંદીપ વસાવા જે-તે સમયે જોડાયેલા હતા. તેમના નામે અનેક મિલકતો કરેલી છે. તેમના પરિવારના નામે પણ ગુજરાતમાં અનેક જગ્યાએ મિલકતો ખરીદેલી છે. જ્યારે તપાસ થશે ત્યારે ગુજરાતમાં ભ્રષ્ટાચારના પાંચથી સાત મોટા કેસ છે. એમાં પ્રથમ નંબરનો મોટો વિસ્ફોટ થશે. એમાં શંકાને કોઇ સ્થાન નથી, કારણ કે અમે છેલ્લાં સાત વર્ષથી લડીએ છીએ.
‘ગાંધીનગરમાં પણ આજુબાજુના તાલુકામાં કાચી જમીન લઇને પ્લોટિંગ પાડવાના પ્લાનિંગ કરી રહ્યા હતા, પરંતુ જ્યારથી આ તપાસ ચાલુ થઇ છે ત્યારથી એ બધું વાઇન્ડ અપ કરીને બીજાના નામે કરી રહ્યા છે એવું જાણવા મળ્યું છે, એના પણ ડોક્યુમેન્ટ હાથમાં લાગશે તો એ પણ રજૂ કરીશું. આ અંગે સરકારના ઉચ્ચ અધિકારીઓનું લેખિતમાં ધ્યાન દોર્યું છે.’
તેમણે આક્ષેપ કરતાં આગળ કહ્યું હતું કે સરકારને પણ ખ્યાલ છે કે કોન્ટ્રેક્ટરો દ્વારા કેટલી ગુણવત્તા અને કયા પ્રકારનું કામ કરવામાં આવતું હોય છે. એક કામ પૂરું ના થાય ત્યાં સુધીમાં કોન્ટ્રેક્ટર આઠથી દસ એન્જિનિયરો બદલી નાખતા હોય છે. બ્રિજની હલકી ગુણવત્તાના કામ પાછળ માર્ગ અને મકાન વિભાગ (આર એન્ડ બી)ની મુખ્ય બેથી ત્રણ વ્યક્તિઓ કામ કરી રહી છે. તેમાં મુખ્ય માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદીપ વસાવા છે. તેમની આખી ટીમ ગુજરાતમાં કામ કરી રહી છે. આર એન્ડ બીમાં એટલા બધા ભ્રષ્ટાચાર વધી ગયા છે કે આપણે કલ્પના ના કરી શકીએ. સંદીપ વસાવા 2017થી 2019ના સમયગાળામાં મુખ્ય ઇજનેર હતા…… આ બાબત આર એન્ડ બીના અધિકારીઓ તથા કર્મચારી જાણતા હોય છે.સંદીપ વસાવાએ કદાપિ જથ્થા ઘટાડા અંગે દરખાસ્ત કરી નથી કે કોઈ કોન્ટ્રોક્ટરને પનિશમેન્ટ નથી આપી કે કોઇ કોન્ટ્રોક્ટરને બ્લેકલિસ્ટ કર્યા નથી. ઓની પાછળનું કારણ છે કે મોટા મોટા કોન્ટ્રોક્ટરો સાથે સંદીપ વસાવાની સાઠગાંઠ છે. તેમના કોલ ડિટેઇલની વિગતો તપાસવામાં આવે તો ખબર પડશે કે કેટલા લોકો જોડે વાત કરે છે. તેમણે કરોડોની સંપત્તિ વસાવેલી છે એના પુરાવા મેં સરકારને સુપરત કર્યા છે. મારી માહિતી મુજબ સરકારે તપાસ પણ શરૂ કરી દીધી છે.
‘લાંચ લઈ અધિકારીઓને એક્સટેન્શન આપતા’
‘તેમણે કાર્યપાલક ઇજનેર તથા અધિક ઇજનેરને લાખ્ખો રૂપિયાની લાંચ આપી છે. 11 મહિનાનું એક્સેટેન્શન આપતા હતા. જોકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે એક્સટેન્શન આપવાનું બંધ કરી દીધું છે, પરંતુ અગાઉ 10 લાખથી માંડીને 20 લાખ લઇને લોકોને એક્સટેન્શન અપાતું હતું. જેટલા લોકોને અપાયું હતું તેમણે પેટ ભરી ભ્રષ્ટાચાર કર્યો. એ તમામ લોકોએ કરોડો રૂપિયાની મિલકતો વસાવી. સંદીપ વસાવાની હાથ નીચેના આવા 100 અધિકારીનાં નામ આપી શકું છું, જેમણે 5 કરોડથી માંડીને 20 કરોડ સુધીની બેનામી મિલકતો વસાવી છે. આ તો સબ રજિસ્ટ્રારમાં થયેલી નોંધણીના આધારે હું કહું છું. બજારભાવ પ્રમાણે જોવા જઇએ તો 100થી 150 કરોડની મિલકતો થતી હોય છે. આવું મોટું કૌભાંડ સંદીપ વસાવાના નેતૃત્વ હેઠળ થઇ રહ્યું છે. ખરેખર તેમને સચિવપદેથી હટાવીને સરકારે તપાસ કરવી જોઇએ. ખરેખર સરકારે આ તપાસ સીબીઆઇને સોંપવાની જરૂર છે.’
‘ઇજનેરોને છાવરી 150 કરોડની સંપત્તિમાં ભાગીદાર બન્યા’
‘ગોધરાના એક નાયબ કાર્યપાલક ઇજનેર, જેમણે જંગી મિલકત વસાવેલી છે. એ અંગેના દસ્તાવેજો રજિસ્ટ્રાર કચેરીમાં રજૂ કરેલા હતા, પરંતુ સમયમર્યાદામાં કાર્યવાહી નહીં કોર્ટમાં ફરિયાદ કરી હતી. એક નવસારીના કાર્યપાલક ઇજનેરને ગેરકાયદે એક્સટેન્શન આપ્યું છે. તેમની પાસે 125થી 150 કરોડની બેનામી મિલકત નવસારી અને બારડોલીમાં છે. સંદીપ વસાવા તેમના ભાગીદાર છે.’
સંદીપ વસાવાના કહેવાથી કેટલાક કર્મચારીઓ RTI એક્ટિવિસ્ટ કે પત્રકારોને ઇમોશનલ બ્લેકમેઇલ કર્યા છે. તેમને ધમકી આપે છે કે તમે છાપશો તો અમે તમારી વિરુદ્ધ ખોટી ફરિયાદ કરીશું. જે અંગેનું મારી પાસે એક-બે કર્મચારીઓના રોકર્ડિંગ પણ છે, જે સમય આવ્યે રજૂ કરીશ. આ આખીય પ્રક્રિયાને હું કોર્ટમાં લઇ જવાનો છું. આમની પાસે બેનામી સંપત્તિ ક્યાંથી આવી છે એના પુરાવાઓ એકઠા કરી રહ્યા છીએ, જે અમે કોર્ટ સમક્ષ રજૂ કરવાના છીએ… મારા પર ગોધરા કોર્ટમાં ખોટો દાવો કરવા એક નાયબ કાર્યપાલક ઇજનેરને પોતાની ઓફિસમાં બોલાવી વાત કરી હતી. એક ચેનલમાં સંદીપ વસાવા વિરુદ્ધમાં હું ઘણી બધી સાચી વાતો બોલ્યો હતો. જેથી તેમણે મને ફસાવવા તૈયારી કરી હતી, પરંતુ આટલાં વર્ષમાં મારી સામે કશું થયું નથી. એક વ્યક્તિ મારફત મારી સામે દાવો દાખલ કરાવ્યો હતો. તેની સામે 318 મિલકતોના દસ્તાવેજો હું લઇ આવ્યો છું. એસીબી કોર્ટ અને ગોધરાની કોર્ટમાં જે દાવો દાખલ કર્યો છે ત્યાં મેં બધું સુપરત કરેલું છે અને મેં કબૂલાત કરી છે કે હા, આ બધું મેં જ કર્યું છે. તેમાં મેં કાંઇ ખોટું કર્યું નથી. ઉપરોક્ત અધિકારી વિરુદ્ધ મેં સંદીપ વસાવાને પણ લખીને ફરિયાદ આપેલી હતી કે આ તમારો કર્મચારી છે કે જેઓ 350 મિલકતો ધરાવે છે, તેની સામે કાર્યવાહી કરો. પરંતુ સંદીપ વસાવાએ કોઇ જ કાર્યવાહી કરી ન હતી.’
‘ફસાવવા માટે સ્ટિંગ ઓપરેશન’
‘ઘણીબધી લોભલાલચ આપેલી છે. તેમના ઘણા બધા કર્મચારીઓએ ફસાવવા માટે સ્ટિંગ ઓપરેશનો કર્યાં છે.અમે પણ ઘણું સ્ટિંગ કરેલું છે એ આવનારા દિવસોમાં અમે પણ સરકારને આપીશું કે વાઇરલ પણ કરીશું. જ્યાં સુધી સરકારને સુપરત ન કરીએ ત્યાં સુધી વાઇરલ કરવું ગુજરાતના હિતમાં નથી.. આવા ભ્રષ્ટાચારીના કારણે આખુંય ગુજરાતના બદનામ ના થાય એ માટે આપણે બધા વિચારીએ છીએ.’સંદીપ વસાવાએ કયા અધીક્ષક ઇજનેર, મુખ્ય ઇજનેર, કાર્યપાલક ઇજનેર, નાયબ કાર્યપાલક ઇજનેર પોતાના તાબા હેઠળ કોઈ એવી ખાતાકીય તપાસ કે ભ્રષ્ટાચાર વિરુદ્ધની તપાસ ચલાવી હોય અને સખતમાં સખત કાર્યવાહી કરી હોય એવું મને એકપણ પ્રકરણ બતાવે, એવો પડકાર ફેંકતાં કિશોરભાઇએ વધુમાં જણાવ્યું હતું કે તેમણે માત્ર પ્રકરણ દબાવવાની કોશિશ કરી છે. જામનગર જિલ્લાના કાર્યપાલક ઇજનેર શામળાને આઠથી નવ લાખ રૂપિયા સાથે એસીબીએ ઝડપેલા હતા. ખરેખર સરકારે ભ્રષ્ટાચારી સંદીપ વસાવાને તથા તેની સાથે ફરતી ટીમ તથા તેમનો જે PA છે કમલેશ પ્રજાપતિ. કોની પાસે કઇ રીતે શું કામ લેવું અને શું કરવું તથા ક્યાં સુધી તેને જતો કરવો અને ક્યાં સુધી તેને માફ કરવો. સંદીપ વસાવા એકપણ ભ્રષ્ટાચારી વિરુદ્ધમાં ફરિયાદી બનેલા નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે સચિવે બેદરકારી દાખવી છે. સચિવ તરફથી એકપણ પ્રકારની કાર્યવાહી કરી નથી. આર એન્ડ બીની અંદર પણ નિઃસ્વાર્થ મુખ્ય ઇજનેરો છે. આપણે કોઇનાં નામ લેવાની જરૂર નથી, નામ લેવાથી પણ ખોટી ઇમેજ ઊભી થાય છે. નહીં તો એવું થશે કે તેમના સંપર્કમાં હશે, ઘણા બધા સારા મુખ્ય ઇજનેરોને નિમણૂક આપી તટસ્થ કામગીરી થશે અને સરકાર એ જ દિશામાં ચાલી રહી છે. સરકાર સંદીપ વસાવાને ખરેખર ટૂંક સમયમાં તપાસ દરમિયાન જ હટાવશે.’…એમ તેમણે જણાવ્યુ હતુ ….. સૌજન્ય દિવ્ય ભાસ્કર….