Published By : Parul Patel
અછબડા એટલે કે શીતળા ( અંગ્રેજીમાં chickenpox), અછબડા એક ચેપી રોગ છે. આ રોગ હવા દ્વારા અથવા ચેપગ્રસ્ત વ્યક્તિના ફોલ્લામાંથી લાળ, કફ, અથવા પ્રવાહીના સંપર્ક દ્વારા ફેલાય છે. આ રોગમાં તાવ આવ્યા પછી શરીર પર લાલ ફોલ્લીઓ દેખાય છે. આ ફોલ્લીઓ 2 થી 3 દિવસ પછી ફોલ્લાઓનું સ્વરૂપ લે છે. દાણામાં ખંજવાળ આવે છે અને પોપડા બનવા લાગે છે. પોપડા ને નખથી ઉખાડવા નહીં, તેનાથી રોગ ફેલાય છે. 5 થી 6 દિવસમાં આ દાણામાંથી પોપડો નીચે પડવા લાગે છે. આમાં તાવ અને બળતરાના કારણે દર્દીને ઘણી બેચેની થાય છે. આ રોગને ઠીક કરવામાં ઓછામાં ઓછા 7 થી 10 દિવસનો સમય લાગે છે. અછબડા 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં સૌથી સામાન્ય છે. વેરિસેલા-ઝોસ્ટર વાયરસથી થતો ચેપ મોટે ભાગે બાળકોને અસર કરે છે.
અછબડા નો દેશી ઉપચાર :
- લીમડાના પાનને પાણીમાં ઉકાળીને તે પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગો દૂર થાય છે અને તેના વાયરસને ફેલાવતો નથી.
- મુઠ્ઠીભર લીમડાના પાન લઈને પેસ્ટ બનાવો. આ પેસ્ટને અછબડાની જગ્યા પર લગાવો. જો કે તે ત્વચામાં ખંજવાળ પેદા કરી શકે છે, પરંતુ તે ત્વચાની સારવાર માટે ખૂબ જ સારો ઉપાય છે.
- શીતળાના દર્દીની પથારી સાફ રાખો અને તેના પલંગ પર લીમડાના પાન રાખો.
4. સાદું ભોજન લેવું અને ઠંડા પદાથો લેવા જેમકે કાળી દ્રાક્ષ, તડબૂચ, પીળી સાકર વગેરે, ખાસ કરીને પ્રવાહી ખોરાક લેવો. આમાં નારિયેળ પાણીથી સારી રીકવરી આવે છે.
5. આળકના પાનનો રસ લીમડાના તેલમાં ભેળવીને અછબડાના દાણા પર લગાવવાથી ફાયદો થાય છે.
6. તુલસીના પાનનો અડધી ચમચી રસ સવારે દર્દીને આપવાથી શીતળાના રોગમાં ફાયદો થાય છે, સાથે અજમાને પીસીને દર્દીને પાણી સાથે પીવડાવો.
ભારતમાં અછબડા એટલે કે શીતળાને માતા કહેવામાં આવે છે. આને બીમારીની જગ્યાએ માતાનો પ્રકોપ કે તેમનો આશીર્વાદ માનવામાં આવે છે. માન્યતા મુજબ આ બીમારી ભગવાનની મરજીથી થાય છે. આ એક વિચારવા જેવો પ્રશ્ન છે, જેને આપણે બધા માનીએ તો છે પરંતુ આની પાછળનું કારણ નથી જાણતા.
હિંદુ ધર્મમાં એવી માન્યતા છે કે માં દુર્ગામાંના સ્વરૂપ શીતળા માતાની (માં કાત્યાયની) પૂજા કરવાથી ચેચક, ફોડ ફૂસી વગેરે બીમારીઓ થતી નથી. શીતળા માતાના જમણા હાથમાં ચાંદીનું ઝાડું હોય છે જે બીમારી ફેલાવાનું, અને ડાબા હાથમાં ઠંડા પાણીનું વાસણ બીમારી દૂર કરવાનું પ્રતિક છે. જો કોઈના શરીર પર અછબડા કે શીતળા માતા નીકળ્યા છે તો તેનો મેડિકલ ઈલાજ કરવામાં નથી આવતો.
બર્બરિક એ મહાભારતનું એક પાત્ર છે. મહાભારતમાં વર્ણવ્યા પ્રમાણે બર્બરિક ભીમનો પૌત્ર અને ઘટોત્કચનો પુત્ર હતો. એની માતા મૌર્વિ હતી. તે ખુબ બળવાન હતો. ધર્મની રક્ષા અને અધર્મના નાશ માટે ભગવાન શ્રીકૃષ્ણએ શીશનું દાન માંગ્યું અને વિના સંકોચે પોતાના શીશનું દાન આપ્યું. યજ્ઞની રક્ષા કરવા માટે કરેલા યુદ્ધમાં બાલસ્વરૂપનું પ્રચંડ બળ જોઈ નવદુર્ગામાં કાત્યાયનીએ તેમને અલગ નામથી સન્માનિત કર્યા. એક એવા દેવ જે રાજસ્થાનમાં ખાટુ શ્યામ અને ગુજરાતમાં બળિયાદેવના નામથી પુજાય છે. હનુમાનજીના મંદિરની જેમ જ બર્બરિક એટલે કે બળિયા દેવનું મંદિર દરેક ગામમાં હોય છે. વર્ષો પહેલાં ચેપી રોગોના પ્રકોપથી લોકો ભયંકર ત્રસ્ત હતા. વિકટ પરિસ્થિતિ સર્જાતા ગ્રામજનોએ બળિયાદેવને પ્રસન્ન્ કરવા તેમની આરાધના શરુ કરી હતી. બાળકોના દેવ બળિયાદેવે અનેક પરચા પુર્યા…આથી માન્યતા મુજબ લોકો બળિયાદેવની બાધાઓ પણ રાખે છે. તેમના વિશે અનેક કથાઓ પ્રચલિત છે.