Published by : Anu Shukla
- ભારતને વૈશ્વિક સ્તરે એક ચમકતા સ્થળ તરીકે જોવામાં આવી રહ્યું છે
- જામનગરમાં નવી ઉર્જા ઉત્પાદન ઇકોસિસ્ટમ માટે 75,000 કરોડનું કરશે રોકાણ
મુકેશ અંબાણીએ ગુરુવારે આયોજિત રિલાયન્સ ફેમિલી ડે ફંક્શન 2022 દરમિયાન કહ્યું હતું કે, એવા સમયે જ્યારે વિશ્વના ઘણા ભાગોમાં અનિશ્ચિતતા, અસ્થિરતા અને તણાવ છે. ત્યારે ભારતને વૈશ્વિક સ્તરે એક ચમકતા સ્થળ તરીકે જોવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, અછત અને વ્યાપક ગરીબીના યુગમાંથી ભારત સમાવિષ્ટ સમૃદ્ધિ, વિપુલ તકો અને 1.4 અબજ ભારતીયોના જીવનની સરળતા અને ગુણવત્તામાં અકલ્પનીય સુધારણાના યુગની શરૂઆત કરશે. “આપણી આઝાદીના શતાબ્દી વર્ષ 2047 સુધીમાં આપણે ટકાઉ અને સ્થિર રીતે 40 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવી શકીએ છીએ. આ ધ્યેય વાસ્તવિક અને પ્રાપ્ત કરી શકાય તેવું છે.
તેમણે કહ્યું કે, ભારત યુવા વસ્તી, પરિપક્વ લોકશાહી અને ટેકનોલોજીની નવી શક્તિથી ધન્ય છે. મુકેશ અંબાણીની આગેવાની હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પેટ્રોકેમિકલ, ઓઇલ એન્ડ ગેસ, ટેલિકોમ અને રિટેલ બિઝનેસ સાથે સંકળાયેલી છે. જૂથની આવકનો 60 ટકા હિસ્સો ઓઇલ રિફાઇનિંગ અને પેટ્રોકેમિકલ બિઝનેસમાંથી આવે છે. જો કે, ઓઇલ રિફાઇનિંગ બિઝનેસ પર તેની નિર્ભરતા ઘટાડવા માટે, જૂથ રિટેલ, ટેલિકોમ્યુનિકેશન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં પણ તેની દખલ વધારી રહ્યું છે. આ વર્ષની શરૂઆતમાં, અંબાણીએ તેમની 2.75 ટ્રિલિયન ડોલરની મેગા ઇન્વેસ્ટમેન્ટ યોજનાઓનું અનાવરણ કર્યું અને ઉત્તરાધિકાર યોજનાની રૂપરેખા આપી. જૂથ 2027 સુધીમાં તેની બજાર કિંમત બમણી કરવા માંગે છે.
અંબાણીએ એ પણ જાહેરાત કરી છે કે, કંપની ભારતની પ્રથમ કાર્બન ફાઇબર ફેક્ટરી સ્થાપવા અને પોલિએસ્ટર અને વિનાઇલ જેવા અન્ય ક્ષેત્રોમાં ક્ષમતા વધારવા માટે આગામી પાંચ વર્ષમાં તેના ઓ2સી બિઝનેસમાં 75,000 કરોડનું રોકાણ કરશે. ગ્રૂપ જામનગરમાં સંપૂર્ણ સંકલિત નવી ઉર્જા ઉત્પાદન ઇકોસિસ્ટમ સ્થાપવા માટે 75,000 કરોડનું રોકાણ કરવાની તેની પ્રતિબદ્ધતાને વેગ આપવા માટેની યોજનાઓ પર પણ કામ કરી રહ્યું છે.