Published by : Vanshika Gor
સુપ્રીમ કોર્ટે સેનામાં ભર્તી અંગેની કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના વિરુદ્ધની બે અરજીઓને સોમવારે નકારી દીધી છે. મુખ્ય અદાલતે ટિપ્પણી કરતાં કહ્યું કે આ યોજના કોઈ મનમાની નથી. સુપ્રીમ કોર્ટે અગ્નિપથ યોજનાને યોગ્ય ગણતા દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને બરોબર માન્યો છે. આ યોજનાને લઈને દિલ્હી કોર્ટના નિર્ણય સામે સુપ્રીમમાં બે અરજીઓ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે સાર્વજનિક હિત અન્ય વિચારો કરતાં ખાસ મહત્ત્વપૂર્ણ છે. આ સાથે જ કોર્ટે આ પણ કહ્યું કે અગ્નિપથ યોજના શરૂ થયા પહેલા રક્ષા ભર્તી પ્રક્રિયામાં પસંદ થયેલા ઉમેદવારોને નિયુક્તિનો અધિકાર નથી.
ગત ફેબ્રુઆરી મહિનામાં દિલ્હી હાઈકોર્ટે પોતાના એક નિર્ણયમાં અગ્નિપથ યોજનાની કાયદાકીય યોગ્યતાને બરકરાર રાખી હતી. અદાલતે કહ્યું કે, જે નીતિગત નિર્ણયો દેશના રક્ષા ક્ષેત્રને ખૂબ જ અસર કરતા હોય તે નિર્ણયો તેમણે જ લેવા જોઈએ. જે એના નિષ્ણાંતો છે.
જસ્ટિસ સતીશચંદ્ર શર્મા સહિતની ડિવિઝન બેન્ચે પોતાના નિર્ણયમાં અગાઉ આપેલા નિર્ણયોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, જ્યાં સુધી સરકાર દ્વારા લેવામાં આવેલા નીતિગત નિર્ણયો મનમાનીપૂર્ણ, ભેદભાવપૂર્ણ કે બંધારણના કોઈ કાયદાનું ઉલ્લંઘન નથી કરતા તો અદાલત એવા નિર્ણયો પર સવાલ નથી ઉઠાવી શકતી.