Published by : Anu Shukla
- 7 આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી
- અત્યાર સુધીમાં આ કેસમાં 9 લોકોની ધરપકડ થઈ
મોરબી બ્રિજ અકસ્માતમાં આજે 7 આરોપીઓએ કરેલી જામીન અરજી કોર્ટે નામંજૂર કરી દીધી છે. જોકે અગાઉ ઝડપાયેલા 9 પૈકી 7 આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. આ અરજી પર આજે કોર્ટમાં દલીલો થઈ હતી.
આ અગાઉ પોલીસે જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરી રીમાન્ડની માંગણી કરી હતી. પોલીસ દ્વારા જયસુખ પટેલના 14 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા જયસુખ પટેલના 8 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા. હાલ જયસુખ પટેલ જેલમાં બંધ છે. ગુજરાત સહિત ભારત અને વિશ્વને હમચાવી નાખનાર મોરબી બ્રિજ તૂટવાની ઘટનામાં 135 લોકોએ જીવ ગુમાવ્યો હતો અને 56 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
જયસુખ પટેલના સમર્થનમાં અનેક સંસ્થાઓ સમર્થનમાં આવી
મોરબી દુર્ઘટનામાં ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલના સમર્થનમાં અનેક સંસ્થાઓ આવી છે. મોરબી દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલને ઉમિયાધામનું સમર્થન મળ્યું છે. જયસુખ પટેલને સમાજના અગ્રણી ગણવામાં આવ્યા છે. આ ઉપરાંત જયસુખ પટેલ સમાજ સેવાની જવાબદારી નિભાવતા હોવાથી સમર્થન કરાયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમામ લોકો જયસુખ પટેલને સમર્થન આપે તેવી અપીલ કરવામાં આવી છે.