રાજ્યભરમાં કલાયમેટ ચેન્જ અંગેના પંચામૃત – યુવા જાગૃતિ પખવાડિયું ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે 17 સપ્ટેમ્બરના રોજ આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ક્લાઈમેટ ચેન્જ, પર્યાવરણ અને વન મંત્રી કિરીટસિંહ રાણા તથા રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા સહિતનાઓ ઉપસ્થિત રહેશે.
17 થી 30 સપ્ટેમ્બર દરમિયાન કોલેજ કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ યોજાશે. જેમાં ક્લાઈમેટ ચેન્જ નિવારણ માટે નવીન વિચારો અંગેની સ્પર્ધામાં પુનઃપ્રાપ્ય ઉર્જા, જળ પ્રદૂષણ, સંરક્ષણ, ક્લાઈમેટ ચેન્જ માટે નાણા ભંડોળ, ઇલેક્ટ્રીક વાહન, હવા પ્રદૂષણ, ક્લાઈમેટ એક્શન, શમન, અનુકૂલન, જમીન સંરક્ષણ, માટી બચાવો પ્રાકૃતિક ખેતી, કચરા વ્યવસ્થાપન જેવા વિષયોનો સમાવેશ થાય છે. તેમજ પર્યાવરણ અંગે જાગૃતિ કેળવાય એ માટે સૂત્ર લેખન, કચરાનો યોગ્ય નિકાલ માટેની સ્પર્ધાઓ યોજાશે. આ ઉપરાંત શાળા કક્ષાએ પણ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્રદૂષણ, વનીકરણ, પૃથ્વી બચાવો, વૈશ્વિક તાપમાનમાં વધારો, જળ બચાવો, પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો, અનાજનું વેડફાટ અટકાવો, ઈલેક્ટ્રીક વાહન સહિતના વિષયો પર ચિત્ર, પેઇન્ટિંગ, નિબંધ લેખન, વકતૃત્વ જેવી સ્પર્ધાઓ યોજાશે.
રાજ્યના ક્લાઈમેટ ચેન્જ વિભાગ દ્વારા રહેણાંક મકાનો પર સોલાર રૂફટોપ, સરકારી મકાનો પર સોલર રૂફટોપ, બાયોગેસ પ્લાન્ટ, સ્મશાન ભઠ્ઠી, રિસર્ચ પ્રોજેક્ટ માટે સહાય, ઈલેક્ટ્રીક વાહનો, સોલર વોટર હિટીંગ સિસ્ટમ, એલઇડી ટ્યુબલાઈટ સહિતની યોજનાઓ અમલમાં છે. આ ઉપરાંત અનુકૂલન અને શમનની પ્રોત્સાહક નીતિઓ અને પ્રકલ્પો શરૂ કરવા તેમજ પુનઃપ્રાપ્ય ઉર્જાઓના વપરાશને પ્રોત્સાહન અને ઊર્જા કાર્યક્ષમતા વધારવાના પ્રયત્નો કરવા તથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવી વગેરે તેના અન્ય મુખ્ય કાર્યો છે.