Published by : Rana Kajal
રાજ્યની તમામ સરકારી હોસ્પિટલો અને મેડિકલ કોલેજો તેમજ તેની હોસ્ટેલોમાં સીસીટીવી કેમેરા થકી નજર રાખવામાં આવશે તેમ રાજ્યના આરોગ્ય વિભાગના એડિનશનલ ચીફ સેક્રેટરી મનોજ અગ્રવાલે કહ્યુ હતુ.
એમ.એસ.યુનિવર્સિટીના ૪૨મા પૂરક પદવીદાન સમારોહમાં હાજરી આપવા માટે આવેલા મનોજ અગ્રવાલે એક વાતચીતમાં જણાવ્યુ હતુ કે, કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે આરોગ્ય તંત્રને આગળ વધારવા માટે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.જેના ભાગરુપે મેડિકલ કોલેજોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે અને તેને દિલ્હી મેડિકલ કમિશન સાથે કનેક્ટ કરવામાં આવશે.જેથી મેડિકલ કોલેજોમાં અભ્યાસ અને બીજી પ્રવૃત્તિઓ પર નજર રાખી શકાય તેમજ વિદ્યાર્થીઓના રેગિંગ જેવી પ્રવૃત્તિઓને પણ અટકાવી શકાય.સાથે સાથે વિદ્યાર્થીઓની હાજરી માટે બાયોમેટ્રિક સિસ્ટમ પણ લાગુ કરવામાં આવશે.
રાજ્ય સરકાર હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમના ભાગરુપે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોને પણ સીસીટીવી કેમેરાથી સજ્જ કરવા જઈ રહી છે.જેથી દર્દીઓને યોગ્ય રીતે સારવાર મળી રહી છે કે કેમ તે જાણી શકાય.સાથે હોસ્પિટલોના સંચાલનનુ અને બીજી સુવિધાઓનુ પણ આ યોજનાના કારણે મોનિટરિંગ શક્ય બનશે.તાત્કાલિક સારવાર વિભાગમાં પણ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.