- ગંદકી અને જર્જરિત હાલત જોઈ વ્યથિત થયા…
- રાજ્યપાલે તાત્કાલિક સમારકામ કરવા અને સ્વચ્છતાની વ્યવસ્થા કરવા કુલનાયક અને રજિસ્ટ્રારને વિનંતી કરી
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લેડી ગવર્નર દર્શનાદેવી સાથે ગૂજરાત વિદ્યાપીઠની અચાનક જ મુલાકાત લઈ ત્યાંના ભોજનાલય, સ્વચ્છતા સંકુલો અને છાત્રાવાસની સરપ્રાઈઝ વિઝિટ કરી હતી.
મહાત્મા ગાંધીના આદર્શોની વરેલી ગૂજરાત વિદ્યાપીઠમાં સ્વચ્છતા સંકુલો અને છાત્રાવાસની જર્જરિત અને દયનીય હાલત તેમજ અપાર ગંદકીને જોઈ રાજ્યપાલે અત્યંત દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે વ્યથા રજૂ કરતા જણાવ્યુ હતું કે મહાત્મા ગાંધીજીના આદર્શોને વરેલી આ સંસ્થામાં જ ગંદકી અને જર્જરિત હાલત જોઈ મન દ્રવી ઉઠે છે. ગાંધીજીના સ્વચ્છતાના આગ્રહનું અહીં પાલન થાય તે માટે રાજ્યપાલે વિદ્યાર્થીઓને આહ્વાન કર્યું હતું.

રાજ્યપાલ અચાનક જ કુમાર છાત્રાલયમાં પહોંચ્યા હતા અને વિદ્યાર્થીઓને રૂમમાં જ મળ્યાં હતા. તેમણે અહીં સ્વચ્છતા તેમજ ઉપલબ્ધ સુવિધાની માહિતી મેળવી હતી, જ્યારે લેડી ગવર્નર દર્શનાદેવી મહિલા છાત્રાલય પહોંચ્યા હતા અને અહીંની ગંદકી અને જર્જરિત-દયનીય હાલત જોઈને દુ:ખ વ્યક્ત કર્યું હતું. એટલું જ નહીં વિદ્યાર્થિનીઓને સ્વચ્છતા માટે સમૂહશ્રમ કરવા વિનંતી પણ કરી હતી. રાજ્યપાલે આ તકે વિદ્યાપીઠના કુલનાયક રાજેન્દ્ર ખીમાણી તેમજ કાર્યકારી રજિસ્ટ્રાર નિખિલ ભટ્ટને તાત્કાલિક સમારકામ કાર્ય હાથ ધરવા અને સ્વચ્છતાની વ્યવસ્થા કરવા ભારપૂર્વક વિનંતી કરી પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. રાજ્યપાલે અહીં છાત્રાવાસમાં વસતા વિદ્યાર્થીઓને પણ સ્વચ્છાગ્રહી બનવાનો આગ્રહ કરી ગૂજરાત વિદ્યાપીઠને ગાંધીજીના સપનાનું શિક્ષણ સાધનાનું આદર્શ સ્થાન બનાવવા અનુરોધ કર્યો હતો.