સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર વરિષ્ઠ રેલવે પ્રવાસીઓની વય મર્યાદા 60 વર્ષથી વધારી 70 વર્ષ કરવાની ચર્ચા છે. તો વરિષ્ઠ નાગરિકોને રેલવેયાત્રા માટે મળતી રાહતો ફરી શરૂ કરવા માટે રેલવે સંસદીય સમિતિ દ્વારા રેલવે મંત્રાલયને ભલામણ કરાઇ છે. જો કે હજુ સુધી રેલવેની સંસદની સ્થાયી સમિતિએ કરેલી ભલામણ પર રેલવે મંત્રાલય દ્વારા કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી.
હાલમાં રેલવે દિવ્યાંગ, વિદ્યાર્થીઓ અને ગંભીર પ્રકારની બીમારીથી પીડિત દર્દીઓને જ યાત્રી ભાડામાં રાહત આપે છે. મંત્રાલયનું કહેવું છે કે 2019-20માં યાત્રી ટિકિટ પર 59,837 કરોડની સબસિડી અપાઇ હતી. જો સબસિડી આપવામાં ન આવી હોત તો પ્રતિ યાત્રી 53 ટકા વધારે રકમ ખર્ચ કરવાની ફરજ પડી હોત.
રેલવેયાત્રીઓની વધતી સંખ્યા અને રેલવેલાઇન પર વધતા જતાં દબાણથી 183 નવી રેલવેલાઇન નાખવા માટેનો નિર્ણય કરાયો છે. સૌથી વધારે પૂર્વ-મધ્ય રેલવેમાં 25 લાઇન, પૂર્વોતર સીમાંત રેલવેમાં 20, ઉત્તર અને દક્ષિણ-પશ્ચિમ રેલવેમાં 18-18, દક્ષિણ-મધ્યમાં 15, મધ્ય રેલેવમાં 14, પૂર્વ રેલવેમાં 12, દક્ષિણ રેલવેમાં 11, પૂર્વોત્તર રેલવે 10, દક્ષિણ-પૂર્વ-મધ્ય રેલવેમાં નવ, સહિતની લાઇન નાખવાની યોજના બનાવી છે.