વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોરબીની મુલાકાત લેતા તંત્ર હરકતમાં આવી ગયું હતુ..મોરબીની હોસ્પિટલમાં ગાદલા-ઓશીકા નવા મુકાયા, નવું ફ્રીઝ પણ મૂક્યું પરંતુ પાણી જ આવતું નહોતુ તેથી પોલ ખુલી હતી. અને તેથી વડાપ્રધાનને સબ સલામત હોવાનું બતાવવા સત્તાધીશો ઊંધા માથે થયા હતા. સરકારી હોસ્પિટલમાં દર્દીઓને જૂના તૂટેલા ગાદલા-ઓશીકા અપાતા હોવાની વાત જગજાહેર છે, ક્યારેય આ મુદ્દે દર્દી કે તેના સંબંધીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવે તો હોસ્પિટલ સ્ટાફ તેનો ઊધડો લઇ લેતો હતો પરંતુ મોરબીની સરકારી હોસ્પિટલમાં દર્દીઓને અચાનક જ નવા ગાદલા અને ઓશીકા આપી દેવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદી પુલના ઇજાગ્રસ્તોની મુલાકાત કરવા આવવાના હોય હોસ્પિટલ તંત્ર ઊંઘતું ઝડપાયુ હતુ.વડાપ્રધાન નરેન્દ્રમોદી મંગળવાર સાંજે મોરબી પહોંચશે અને દુર્ઘટનામાં ઘવાયેલા અને સારવાર લઇ રહેલા દર્દીઓને રૂબરૂ મળશે તેવો કાર્યક્રમ નક્કી થતાં જ હોસ્પિટલ તંત્ર હરકતમાં આવી ગયું હતુ. અને સોમવારે સાંજે જ હોસ્પિટલ બિલ્ડિંગમાં કલરકામ શરૂ થઇ ગયું હતુ. એટલુ જ નહીં દર્દીઓને જ્યાંથી પીવાનું પાણી મળે છે તે જૂનું ફ્રીઝ હટાવી લેવામાં આવ્યું હતું અને તેની જગ્યાએ નવું ફ્રીઝ મૂકી દેવાયું હતુ. ફ્રીઝ રાખવાની જગ્યાએ જે ઓટલો હતો તે ઓટલો તોડી નાખી તેની જગ્યાએ નવો ઓટલો તાબડતોબ બનાવી નાખવામાં આવ્યો હતો. અને ઝૂલતા પુલ દુર્ઘટનાના ઇજાગ્રસ્તોને જે વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે તે વોર્ડમાં મંગળવાર સવારથી ચિત્ર પલટાઇ ગયું હતુ. આખો વોર્ડ ચોખ્ખો કરી નખાયો હતો, તમામ વસ્તુઓ યોગ્ય જગ્યાએ રાખી દેવાઇ હતી, એટલું જ નહીં દર્દીઓના બેડ પર રહેલા જૂના ગાદલા અને ઓશીકા હટાવી તેની જગ્યાએ નવા ગાદલા-ઓશીકા આપી દેવામાં આવ્યા હતા. નવું ફ્રીઝ મુકવામાં આવ્યું હતું તેમાં બે નળ હતા જેમાં એકમાંથી ઠંડુ અને બીજામાંથી નોર્મલ પાણી મળે તેવી વ્યવસ્થા હતી. જોકે વડાપ્રધાને મુલાકાત લીધી અને દર્દીઓને મળીને જતા પણ રહ્યા ત્યાં સુધી એ ફ્રીઝમાંથી ઠંડુ કે નોર્મલ એકપણ પ્રકારનું પાણી દર્દીને પ્રાપ્ત થયું નહોતું. તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે.