Published By : Disha PJB
- પશુ ચિકિત્સકોની ટીમે ત્રણ કલાકની જહેમત બાદ ઓપરેશન કરી બિલાડીને આપ્યું નવજીવન.
રાજયની સંવેદનશીલ સરકારે અબોલ પશુ પક્ષીઓની સારવાર માટે ૧૯૬૨ કરુણા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે. આ સેવા અબોલ જીવો માટે સાચા અર્થમાં સંજીવની સમાન પુરવાર થઈ રહી છે.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં વિશ્વામિત્રી ટાઉશિપ પાસે બિલાડી પ્રસુતિની પીડાથી પીડાતી હતી. બિલાડીની વેદના જોઈ રાજેશભાઈ પ્રજાપતિ નામના વ્યક્તિએ બિલાડીને પોતાના ઘર પાસે આશરો આપી ૧૯૬૨ પર કરુણા એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો હતો.

ફોન મળતાની સાથે ૧૯૬૨ એનિમલ એમ્બ્યુલન્સ માંજલપુર વિસ્તારમાં પશુ ચિકિત્સક ડો.ચિરાગ પરમાર પહોંચી ગયા હતા. ડોક્ટરે તપાસ કરતા બિલાડી બહુ જ પીડામાં હતી અને બચ્ચું પણ અંદર મૃત્યુ પામ્યું હોવાનું માલુમ પડ્યું હતું. અન્ય એક કરુણા એમ્બ્યુલન્સને પણ સારવાર દરમિયાન મદદ કરવા માટે બોલવામાં આવી હતી જેમા ડોક્ટર હસન અલી તથા પાયલોટ જયેશ બારીયા પણ ઘટના સ્થળ પર આવી ગયા હતા.
બંને કરુણા એમ્બ્યુલન્સ દ્વારા બિલાડીનો જીવ બચાવ્યો હતો. ડો. ચિરાગ પરમાર અને ડો. હસન અલીની સૂઝબુઝને કારણે બિલાડીનું સફળ ઓપરેશન કરી ત્રણ કલાકની ભારે જેહમત બાદ બિલાડીને નવું જીવનદાન આપવામાં આવ્યું હતું.

કરુણા એમ્બ્યુલન્સે અત્યાર સુધીમાં ૩૮,૨૬૮ થી પણ વધુ પશુ-પક્ષીઓના જીવ બચાવવામાં આવ્યા છે. જેમાં મેડિકલ ૧૨૭૪૧,મેડિકલ સપ્લાય ૨૬૦૫, સર્જીકલ ૧૯૩૭૩, ગાયનોકોલીજીક ૩૩૨ અને અન્ય ૩૩૧૭ કેસનો સમાવેશ થાય છે.
ઇનપુટ : દિગ્વિજય પાઠક.