Published By : Patel Shital
- બન્ને જૂથ વચ્ચે પથ્થરમારો અને વાહનોની આગચંપીની ઘટના…
- ૧૦ જેટલા લોકો ઈજાગ્રસ્ત જ્યારે ૧૫ તોફાનીઓની ધરપકડ…
- ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો…
વડોદરા નજીક સમીયાલા ગામમાં લગ્ન નિમિત્તે યુવાનનો વરઘોડો નીકળ્યો હતો. વરઘોડામાં જોડાયેલા કેટલાક યુવાનો દ્વારા એક ધાર્મિક સ્થાન પાસે ફટાકડા ફોડી રહ્યા હતા. લઘુમતી કોમના લોકો દ્વારા ફટાકડા ન ફોડવા માટે જણાવતા કોમી ભડકો થયો હતો. બંને જૂથ વચ્ચે ભીષણ પથ્થરમારો થયો હતો. ઉશ્કેરાયેલા ટોળા દ્વારા 3 વાહનોને આગચંપી કરી હતી. ઉપરાંત 11 વાહનોની તોડફોડ કરી હતી. પથ્થરમારામાં ધાર્મિક સ્થાન સહિત મકાનોના કાચ તૂટ્યા હતા. આ બનાવમાં 10 જેટલા લોકોને ઇજાઓ પહોંચી હતી. આ બનાવને પગલે ગામમાં હાહાકાર મચી ગયો હતો. તાલુકા પોલીસે બંને જૂથના 15 તોફાનીઓની ધરપકડ કરી ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
હોળી-ધૂળેટીના તહેવાર બાદ કમુરતા પૂરાં થતાંની સાથે લગ્નસરાની મોસમ શરૂ થઇ ગઇ છે. ત્યારે શુક્રવારે વડોદરા નજીક સમીયાલા ગામમાં મસ્જીદની સામે આવેલા ખેતરમાં રહેતા ગોવિંદભાઇ સોમાભાઇ પરમારના પુત્ર મેહુલનું લગ્ન હતું. લગ્ન પ્રસંગ નિમિત્તે મેહુલનો DJ અને ભારે આતશબાજી સાથે બગીમાં ખેતરમાંથી વરઘોડો નિકળ્યો હતો. વરઘોડામાં 500 જેટલા લોકો જોડાયા હતા. ખેતરમાંથી વાજતે-ગાજતે નિકળેલો વરઘોડો ગામમાં ફરી રહ્યો હતો. રાત્રે 12-30 વાગ્યાના સુમારે ગામમાં આવેલી મસ્જીદ પાસે રહેતા કમલેશભાઇ પટેલના ઘર પાસે વરઘોડો પહોંચ્યો હતો. જ્યાં વરઘોડામાં જોડાયેલા મનિષભાઇ ચૌહાણ તેમજ અન્ય યુવાનોએ ફટાકડા ફોડવાનું શરૂ કર્યું હતું. તે સમયે હાફિઝઅલી ઉર્ફ કાલુ હસનભાઇ સૈયદ, ભુપત નૂરમહંમદ ઘાંચી, ઉસ્માન નૂરમહંમદ ઘાંચી, હસુ નૂરમહંમદ ઘાંસી સહિત 25 જેટલા લોકોએ મનિષભાઇ તથા અન્ય યુવાનોને ફટાકડા ન ફોડવા જણાવતા મામલો બિચક્યો હતો. અને બંને જૂથ વચ્ચે ઝપાઝપી શરૂ થઇ ગઇ હતી. તે દરમિયાન ફટાકડા ફોડતા રોકનાર જૂથના યુવાનોએ વરઘોડા ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જે સામે વરઘોડામાં જોડાયેલા લોકોએ પણ સામે પથ્થમારો શરૂ કરી દીધો હતો. સામ સામે શરૂ થયેલા ભારે પથ્થરમારાને પગલે નાસભાગ મચી જવા પામી હતી. DJ માં વાગતા ગીતોના બદલે લોકોની ચિચિયારીઓ શરૂ થઇ ગઇ હતી અને મારો..મારો.. જેવા બૂમો પાડવાનું શરૂ થઇ ગયું હતું. બંને કોમ વચ્ચે ચાલુ રહેલા સતત પથ્થરમારા વચ્ચે ઉશ્કેરાયેલા ટોળા દ્વારા રસ્તામાં પડેલ ઇકો કાર, ઓટો રિક્ષા સહિત 3 જેટલા વાહનોને આગચંપી કરી સળગાવી દીધા હતા. તો કેટલાંક તોફાની ટોળાઓ દ્વારા ટુ-વ્હીલર, થ્રી વ્હીલરો સહિત 11 જેટલા વાહનોની તોડફોડ કરી હતી. રાત્રે 12-30 વાગ્યાના સુમારે થયેલા કોમી તોફાનને પગલે નિંદ્રાધિન લોકો પણ પથારીમાંથી સફાળા ઉભા થઇ ગયા હતા. જોત જોતામાં ગામમાં સન્નાટો વ્યાપી ગયો હતો. મોડી રાત્રે બે કોમ વચ્ચે થયેલા ભારે પથ્થરમારામાં બંને કોમના 10 જેટલા લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. લઘુમતી કોમના ટોળું મારક હથિયારો સાથે ધસી આવ્યું હતું અને વરઘોડામાં જોડાયેલા યુવાનો ઉપર હુમલા કર્યા હતા. પથ્થરમારો અને હુમલામાં ઇજા પામેલા લોકોને કેટલાક લોકો સારવાર આપવા માટે દોડધામ કરી મૂકી હતી. કેટલાંક લોકો દ્વારા વાહનોમાં લાગેલી આગને બૂઝાવવા માટે દોડધામ કરી મૂકી હતી. ભારે પથ્થર મારાના કારણે ધાર્મિક સ્થાન સહિત અનેક મકાનોના બારી-બારણાંના કાચ તૂટી ગયા હતા. મોડી રાત્રે થયેલા કોમી તોફાન અંગેની જાણ તાલુકા પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો. જો કે કોમી તોફાને મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હોવાથી અન્ય તાલુકાની પોલીસને પણ બંદોબસ્ત માટે બોલાવી લેવામાં આવી હતી. તે સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ LCB પી.આઇ. કૃણાલ પટેલ, SOG સહિતના પોલીસ અધિકારીઓ સ્ટાફ સાથે દોડી ગયા હતા. અને મામલો થાડે પાડ્યો હતો. તે સાથે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
![](https://narmadanews.co.in/wp-content/uploads/2023/03/VADODARA-MARRAIGE-2.jpeg)
બીજી બાજુ વરઘોડામાં ફટાકડા ફોડવા બાબતે લઘુમતી કોમના યુવાનો દ્વારા કરવામાં આવેલા પથ્થરમારા અંગે અલ્પેશભાઇ મહેશભાઇ સોલંકીએ તાલુકા પોલીસ મથકમાં હાફીઝઅલી ઉર્ફ કાલુ હસનઅલી સૈયદ, ભુપત નૂરમહંમદ ઘાંચી, ઉસ્માન નૂરમહંમદ ઘાંચી, હસુ નૂરમહંમદ ઘાંચી, સાજીદ અઝીઝ અલ્લારખા ઘાંચી, આરીફ ઘાંચી સહિત 27 લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુન્હો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.