Published By : Parul Patel
અમદાવાદની રથયાત્રાનું આકર્ષણ ખુબ વધુ હોય છે. તેમાં પણ વર્ષ 2023ની રથ યાત્રા ખાસ સાબીત થશે… અમદાવાદમાં કોરોનાકાળમાં ભક્તો વિનાજ રથયાત્રા નીકળી હતી. ત્યાર બાદ 2022માં ભક્તો સાથે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતાં. પરંતુ આ વખતે રથયાત્રા દર વખતની જેમ નહીં પણ અલગ અને ખાસ ટેક્નોલોજી સાથે યોજાશે તે અંગે પોલીસ વિભાગ તરફથી તૈયારીઓ પણ શરૂ કરાઈ છે. દર વર્ષની જેમ ભગવાન જગન્નાથ, બલભદ્ર તથા બહેન સુભદ્રા નવા રથમાં બિરાજમાન થઈને નગરચર્યા કરશે.

પ્રથમ વખત અમદાવાદમાં રથયાત્રાનું વર્ચ્યુઅલ રિયાલિટી મોડલ બનાવવામાં આવી રહ્યું છે. આ વખતની રથયાત્રા ટેક્નોલોજીથી પણ સજ્જ હશે અને તે એક મોડલ બનશે. રથયાત્રાના આ વર્ચ્યુઅલ રિયાલિટી મોડેલમાં એક્સપર્ટની સાથે અમદાવાદ સાયબર ક્રાઈમ આખા રૂટનું વીડિયો રેકોર્ડિંગ કરશે. તેવી તૈયારીઓ શરૂ કરાઈ છે. જેના કારણે સમગ્ર રૂટ પર કયા ખૂણે શું થઈ રહ્યું છે, કયાં બંદોબસ્તની જરૂર છે અને ખૂણે ખૂણે સર્જાતિ સ્થિતિને જોઈ શકાય તેવી વ્યવસ્થા ઉભી કરવાની વિચારણા શરૂ કરવામાં આવી છે. રથયાત્રા પહેલાં હાઈટેક કેમેરા સર્વેલન્સ ડ્રોનથી પોલીસ સમગ્ર રૂટનું વર્ચ્યુઅલ રિયાલિટી મેપિંગ કરશે. એક્સપર્ટ દ્વારા રથયાત્રાના માર્ગમાં આવતી દરેક જગ્યાનું 3D શૂટ કરવામાં આવશે. જેમાં દરેક પોળના ખાંચા અને ધાબે 3D ડ્રોન અને વર્ચ્યૂઅલ શૂટિંગ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને દરેક જગ્યાનું શૂટિંગ થયા બાદ તેને વીઆર બોક્સની મદદથી જોઈ શકાશે.

આ અંગે સાયબર ક્રાઈમના ACP જીતેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, આ વખતની રથયાત્રામાં ટેકનોલોજીનો ઉપયોગ કરવાની વિચારણા શરૂ કરાઈ છે. જેતે એક્સપર્ટની સાથે તેની તૈયારીઓ અંગે ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. આ વખતે રથયાત્રાના સમગ્ર રૂટનું 3D મેપિંગ કરવામાં આવી રહ્યું છે. વીઆર બોક્સની મદદથી જોઈ શકાશે. આ માટે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે. આ માટે અમે એક્સપર્ટની મદદ લીધી છે અને તેનું કામ ચાલી રહ્યું છે. જેમાં ડ્રોન અને હાઈ ડેફિનેશન કેમેરાની મદદથી શૂટિંગ ચાલી રહ્યું છે. રથયાત્રા રૂટનું પહેલેથી જ એનાલિસિસ એટલે કે માઈક્રો એનાલિસિસ અમારી પાસે હોય તો ગમે ત્યારે ગમે તે ક્ષણે તે જગ્યાએ શું કરવું તેનો નિર્ણય લઈ શકાય છે.