- નાની વયમાં એકાગ્રતા અને ક્ષમતા ઘટી શકે છે
આજના સમયમા બાળકો જ્યારે રડતા હોય કે ધમાલ કરતા હોય ત્યારે વાલીઓ બાળકોને મોબાઇલ ફોન આપી શાંત કરી દેતા હોય છે.પરંતુ આ બાબત બાળકોને ખુબ મોટુ નુક્શાનકારક સાબીત થઈ શકે છે.
કેટલીક વખત બાળકો રડે છે કે ધમાલ કરે છે. ત્યારે વાલીઓ તેમને શાંત કરવા માટે મોબાઇલ આપી દે છે. આના કારણે બાળકો તરત શાંત તો થઇ જાય છે પરંતુ ભવિષ્યમાં આનાં ગંભીર પરિણામો સામે આવી શકે છે વાસ્તવમાં નવ વર્ષની વય પૂર્ણ થયા બાદ આ પ્રકારનાં બાળકો જ્યારે બહારના સમાજનાં અન્ય બાળકોની સાથે સંપર્કમાં આવે છે ત્યારે વધારે સ્ક્રીન ટાઇમની ટેવના લીધે બીજા સાથે જલદી મિત્રતા કરી શકતાં નથી. તેમની સાથે યોગ્ય રીતે તાલ બેસાડી શકતાં નથી. તેમની એકાગ્રતા ઘટે છે. સાથે સાથે તેમની કામ કરવાની ક્ષમતાને પણ અસર થાય છે. મોબાઇલ સ્ક્રીનની બાળકો પર થઇ રહેલી અસરને જાણવા માટે હાલમાં જ હાર્વર્ડ યુનિવર્સિટી સેન્ટર ઓફ ડેવલપિંગ ચાઇલ્ડમાં અભ્યાસ હાથ ધરાયો હતો જેમાં કેટલીક ઉપયોગી બાબતો સામે આવી હતી. આ અભ્યાસમા જાણવા મળ્યું કે નવ વર્ષની વય સુધી વધારે પ્રમાણમાં મોબાઇલનો ઉપયોગ કરનારાં બાળકો શૈક્ષણિક ક્ષેત્રે પાછળ થઇ જાય છે.
તે સાથે શોધમાં આ બાબત પણ સપાટી પર આવી છે કે મોબાઇલની ટેવના કારણે માનસિક આરોગ્યને નુકસાન થાય છે. અભ્યાસમાં સ્પષ્ટ જણાવ્યુ છે કે બાળકોને બાળપણમાં મોબાઇલ આપવાથી નુકસાન થાય છે. મોબાઇલ આપવાની બાબત બાળપણને આંચકી લેવા સમાન છે. બાળકોને સામાજિક ગતિવિધિઓમાં વ્યસ્ત રાખવાની જરૂર છે. આના કારણે બાળકોના શારીરિક અને માનસિક વિકાસમાં મદદ મળે છે.બાળકોને વધુમાં વધુ પ્રશ્ન કરવાની તક આપો, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તેમના પ્રશ્નોના જવાબો પણ આપો. બાળકોને નાના નાના ઘરનાં કામ સોંપી શકાય છે. જેમ કે બાળકોને કપડાં વ્યવસ્થિત રીતે મૂકવાની પણ સમજણ આપવી જોઇએ.