Published by : Rana Kajal
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા એક વ્યક્તિ સાથે કેનેડામાં વીઝા અને જોબ આપવાની લાલચ આપી વિશ્વાસઘાત કરી અલગ અલગ પ્રકારે આંગડિયા પેઢી મારફતે ઈસમોએ 18 લાખ ઉપરાંતની રકમ પડાવી લઈ છેતરપિંડી કરનાર 6 ઈસમો સામે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ કરાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના રાજરત્ન બંગલોઝ ખાતે રહેતા ફરિયાદી રાકેશકુમાર જયંતીલાલ પટેલ વર્ષ 2015 માં અલજેરીયા ખાતે કંપનીના કામ અર્થે ગયા હતા દરમ્યાન તેઓ કામ પતાવી પરત એરપોર્ટ ઉપર આવ્યા હતા, જે સમયે તેઓને એક આશિષ પટેલ નામના વ્યક્તિ સાથે ભેટો થયો હતો જે બાદ બંનેએ એક બીજાના કોન્ટેક નંબર શેર કર્યા હતા.
વર્ષ 2020 માં ફરિયાદી પોતાના ઘરે હતા દરમ્યાનમાં તેઓના મોબાઈલ ઉપર ગુડ મોર્નિંગનો એક મેસેજ આવ્યો હતો અને સામેથી આશિષ પટેલ હોવાનું જણાવી તેઓ સાથે વાતચીત શરૂ થઈ હતી જે બાદ ભેજાબાજ ઈસમ દ્વારા ફરિયાદીને કેનેડા આવવા માટેની ઓફર કરાઈ હતી, દરમિયાન ભેજાબાજ આશિષ પટેલની વાતોમાં આવી ગયેલ ફરિયાદીએ પણ તેઓની આ ઓફરનો સ્વીકાર કરી પોતે ફેમિલી સાથે ત્યાં આવવા માંગતા હોવાનું જણાવ્યું હતું.
જે બાદ સતત આશિષ પટેલ નામના વ્યક્તિ એ ફરિયાદીને પોતાની ચૂંગાલમાં ફસાવી લઈ વીઝા ચાર્જ, હોટલ બુકીંગ ચાર્જ, એક્સ્ટ્રા ચાર્જ, ફ્લાઇટ ટિકિટ ચાર્જ સહિતના ચાર્જના નામે આંગડિયા પેઢી મારફતે અલગ અલગ રીતે રૂપિયા માંગી કુલ 18 લાખ ઉપરાંતની રકમ પડાવી લીધી હતી જે બાદ પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાની જાણ થતા ફરિયાદીએ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે મામલા અંગેની જાણ કરતા પોલીસે ભરત પંચાલ,ચિરાગ દલવાડી,આકાશ મેકવાન, પ્રકાશ ગદાની, અરવિંદભાઈ અને ભાવિક નામના કુલ છ ઈસમો સામે ગુનો દાખલ કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.