રાજ્ય સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકાને પશ્ચિમ ભારતના સૌથી મોટા ધાર્મિક- આધ્યાત્મિક સ્થળ તરીકે ડેવલપ કરવા દ્વારકા કોરિડોર પ્રોજેક્ટની કામગીરી ઝડપી બનાવવાની સૂચના આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ દ્વારકામાં ભગવાન કૃષ્ણની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા પ્રસ્થાપિત કરવામાં આવશે. 2023ની 7 સપ્ટેમ્બર એટલે કે આગામી જન્માષ્ટમી સુધીમાં દ્વારકા કોરિડોરના ફેઝ-1ના નિર્માણ કાર્યનું ભૂમિપૂજન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ માટેના સંપૂર્ણ આયોજન માટે મુખ્ય સચિવ પંકજકુમારની અધ્યક્ષતામાં સિનિયર સચિવોની કમિટીની રચના કરવામાં આવી છે. આગામી જન્માષ્ટમી સુધીમાં પ્રથમ તબક્કાની કામગીરીના ભૂમિપૂજનના લક્ષ્યાંક સાથે આયોજન અને ડિઝાઇનનું કામ શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટના આયોજન તેમજ તેની કામગીરીનું મોનિટરીંગ કમિટી કરશે. ભાજપે ચૂંટણી ઢંઢેરામાં દ્વારકા કોરિડોર ઉપરાંત સોમનાથ, અંબાજી અને પાવાગઢ જેવા તીર્થસ્થળોના વિકાસ, નવિનીકરણ અને પ્રચાર પ્રસાર માટે 1 હજાર કરોડ રૂપિયાની ફાળવણીનો વાયદો કર્યો હતો. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ભગવાન શ્રીકૃષ્ણનું મંદિર અને પવિત્ર યાત્રાધામ દ્વારકા દેશભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર રહ્યું છે ત્યારે રાજ્ય સરકારે દ્વારકા કોરિડોર બનાવવાનો સંકલ્પ કર્યો છે.કાલ્પનિક દુનિયાનો વાસ્તવિક અનુભવ કરાવતા 3D ઇમર્સીવ એક્ઝિબિશનનું નિર્માણ કરાશે.