Published by : Anu Shukla
અમદાવાદમાં વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામના નિર્માણના સહયોગ હેતુથી ચાલી રહેલા ‘હું પણ પાયાનો પિલ્લર…’ અભિયાનમાં વિશ્વ ઉમિયાધામના ધર્મસ્તંભનો લાભ પાટીદાર સહિત સમસ્ત વિશ્વના 1440 મહાનુભાવોને મળવાનો છે. આજ સુધીમાં પાટીદાર સમાજ સહિત અન્ય 10 સમાજના મહાનુભાવો 11 લાખનું અનુદાન કરી ધર્મસ્તંભના ભાગ્યશાળી યજમાન બન્યા છે. ત્યારે હવે ભારતીય મૂળના NRI મિત્રો સાથે સાથે અમેરિકન અને કેનેડિયન લોકો પણ વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિરના ધર્મસ્તંભના યજમાન બની રહ્યા છે.
‘વિશ્વ ઉમિયાધામ દરેક સમાજને જોડવાનું કામ’
આ અંગે વાત કરતા વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી પટેલે જણાવ્યું કે, વિશ્વના સૌથી ઊંચામાં ઊંચું જગત જનની મા ઉમિયાનું મંદિર એ માત્ર કડવા પાટીદાર સમાજનું મંદિર નથી એ સમસ્ત સમાજ અને વિશ્વના તમામ સમાજની આસ્થાનું કેન્દ્ર છે. વિશ્વ ઉમિયાધામએ વસુધૈવ કુટુમ્બકમની ભાવનાથી વિશ્વના દરેક સમાજને જોડવાનું કામ કરી રહ્યું છે. અમેરિકન અને કેનેડિયન મહાનુભાવોનું વિશ્વઉમિયાધામમાં જોડાવું એ આપણા માટે ગર્વની વાત છે.
લાખોનો દાન કરનારા અમેરિકનો શું બોલ્યા?
યજમાન બન્યા બાદ અમેરિકાના મેરીલેન્ડમાં વસતાં જોસેફ લીએ જણાવ્યું કે, હું ખુબ જ ખુશ છું કે મને વિશ્વની નવમી અજાયબી સમાન વિશ્વ ઉમિયાધામના પાયાના પિલ્લર થવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું. હું અને મારો પરિવાર મા ઉમિયાના આશીર્વાદ લેવા વિશ્વ ઉમિયાધામ આવીશું. જ્યારે અમેરિકાના મેરીલેન્ડના વધુ એક નિવાસી વિલિયમ ટેલરે જણાવ્યું કે, હું પણ વિશ્વ ઉમિયાધામમાં પાયાનો પિલ્લર છું. અમને વિશ્વના સૌથી ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિરના પાયાના પિલ્લર બનવાનો મોકો મળ્યો તે આનંદની વાત છે. અમે 25 અમેરિકન લોકો પાયાના પિલ્લર બનીશું.