Published by : Anu Shukla
તાજેતરમાં જ વ્યાજખોરીના દૂષણ વિરુદ્ધ ચાલતા આ અભિયાનમાં પોલીસ કાર્યવાહી વિશે વિગતો આપતા ગૃહરાજયમંત્રીએ જણાવ્યું કે, છેલ્લા એક મહિનાથી ચાલતા આ અભિયાનમાં ગુજરાત પોલીસે ખૂણે-ખૂણેથી વ્યાજખોરોને પકડ્યા છે અને જેલમાં ધકેલ્યા છે. અત્યાર સુધી 13 હજારથી વધારે લોકોને અલગ-અલગ બેંક મારફત સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત લોન અપાવવામાં આવી છે.
રાજ્ય સરકાર દ્વારા વ્યાજખોરીને ડામવા માટે છેલ્લા કેટલાક સમયથી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે વ્યાજખોરોના વિષચક્રમાંથી લોકોને મુક્તિ અપાવવા રાજ્ય સરકાર નાના વેપારીઓને ધિરાણ આપવાની શરૂઆત કરવા જઈ રહી છે. જે અંતર્ગત 4 હજારથી વધુ ફેરિયાઓને આજથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ધિરાણપત્ર આપવામાં આવશે. આ મદદને કારણે આર્થિક સંકડામણ અનુભવતા નાના ફેરિયાઓને વ્યાજખોરો પાસે જવાની નોબત આવશે નહીં અને તેને નચિંત થઇને પોતાનો વેપાર ચલાવી શકશે અને વ્યાજખોરીના દૂષણથી પણ દૂર રહેશે.
લોનની રકમનો આંકડો રૂ. 100 કરોડ સુધી પહોંચી ગયો છે. સમગ્ર રાજ્યમાં 3500થી વધારે પોલીસ દ્વારા લોક દરબાર યોજાયા છે, જેમાં વ્યાજખોરીના પીડિતોએ કરેલી ફરિયાદો- રજૂઆતોને ગંભીરતાથી લઈને એક હજારથી વધારે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ રીતે ચાલે છે વ્યાજનું વિષચક્ર
વ્યાજખોરો ગ્રાહક પાસેથી 10-20 ટકા વ્યાજ વસુલી કરે છે જોકે શરાફી વ્યાજમાં 1 ટકાથી 2.5 ટકા સુધી વ્યાજ સર્વ સામાન્ય હોય છે. વ્યાજખોર પાસે લાયસન્સ હોવાથી તે ગ્રાહકના ખાતામાં RTGSથી પૈસા નાંખે છે. RTGSથી પૈસા નાંખતા તે કાયદાકીય રીતે તે સાચો પુરવાર થાય છે. વ્યાજના માત્ર 2 ટકા ગ્રાહક પાસેથી ખાતામાં વસુલ કરે છે અન્ય ઉપરના વ્યાજની ટકાવારી બ્લેકમાં રોકડના રૂપમાં વસુલે છે. રોકડ નાણાંનો કોઈ પુરાવો ન રહેતા બેફામ વ્યાજ વસુલે છે અને નાણાં આપ્યા બાદ અનેક ગણા રૂપિયા વસુલવાનું શરૂ કરે છે. વ્યાજે લીધેલા રૂપિયાથી પણ ઘણીવાર વધુ વ્યાજ વસુલી લેવામાં આવે છે.