Published By : Patel Shital
- વિશ્વનો સૌથી મુલ્યવાન હિરો એટલે કોહિનૂર…
- કોહિનૂર એક ફારસી શબ્દ. જેનો અર્થ થાય છે પ્રકાશનો પર્વત…
- મે માસમાં બ્રિટનમાં લોકોને કોહિનૂર અંગેની વિગતો જણાવાશે…
આવનાર મે મહિનામાં ટાવર ઓફ લંડનમાં કોહિનૂર લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.
કિંગ ચાર્લ્સ ત્રીજાને આ વર્ષે મે મહિનામાં બ્રિટનમાં તાજ પહેરાવવામાં આવનાર છે. પરંતું આ સમય દરમિયાન તેમની પત્ની ક્વીન કોન્સર્ટ કેમિલા કોહિનૂર હીરા જડિત મુગટ નહીં પહેરે. યુકેમાં મહેલોની જાળવણી કરતી ચેરિટી સંસ્થા હિસ્ટોરિક રોયલ પેલેસના જણાવ્યા મુજબ ન્યૂ જ્વેલ હાઉસ એક્ઝિબિશનમાં કોહિનૂરના ઇતિહાસ વિશે જણાવશે. કોહીનૂર હીરાને બ્રિટનના દિવંગત મહારાણી એલિઝાબેથ દ્વિતીયની માતાના મુગટમાં મઢવામાં આવ્યો છે આ તાજને ટાવર ઓફ લંડનમાં રાખવામાં આવ્યો છે.

કોહિનૂરના ચમકતા ઇતિહાસ વિશેની માહિતી વિઝ્યુઅલ પ્રોજેક્શન્સ અને ઓબ્જેક્ટ્સ દ્વારા લોકોને આપવામાં આવશે. કોહિનૂર કેવી રીતે મુગલ સામ્રાજ્ય, ઇરાનના શાહ, અફઘાનિસ્તાનના અમીર અને શીખ મહારાજાઓના કબજામાંથી બહાર આવ્યો તેનો ઇતિહાસ દર્શાવવામાં આવશે. ફારસી ભાષામાં કોહિનૂરનો અર્થ થાય છે પ્રકાશનો પર્વત. મહારાજા રણજિત સિંહના આધિપત્ય હેઠળ આ કોહિનૂર રાણી વિક્ટોરિયા સુધી પહોંચ્યો હતો અને આ હીરાએ બ્રિટિશ શાસનની સર્વોપરિતામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
લંડનના ટાવરના રેસિડન્ટ ગવર્નર અને જ્વેલ હાઉસના કીપર એન્ડ્રુ જેક્સને જણાવ્યું હતું કે તા 26 મેથી નવું જ્વેલ હાઉસ ખુલી રહ્યું છે. લોકોને શાહી આભૂષણો વિશે જણાવવામાં આવશે કોહિનૂર હીરાનો ઇતિહાસ શું છે ? આ હીરા ભારતથી લંડન કેવી રીતે પહોંચ્યો ?

કોહીનૂર 14 મી સદીમાં આંધ્રપ્રદેશના ગોલકોન્ડાની ખાણમાંથી મળી આવ્યો હતો. ત્યારે તેનું વજન 793 કેરેટ હતું. ઘણી સદીઓ સુધી તેને વિશ્વનો સૌથી મોટો હીરા માનવામાં આવતો હતો. જો કે સમય જતાં આ હીરાને કાપવાનું ચાલુ જ રહ્યું હતું જેના કારણે તે નાનો થઇ ગયો હતો. એક અહેવાલ મુજબ 1526માં પાણીપતના યુદ્ધ દરમિયાન ગ્વાલિયરના મહારાજા બિક્રમજીત સિંહે પોતાની તમામ સંપત્તિ આગ્રાના કિલ્લામાં રાખી હતી. ત્યાર બાદ બાબરે કિલ્લો કબજે કર્યો હતો અને કોહિનૂર હીરો પણ તેની પાસે આવ્યો હતો. 1738માં ઈરાનના શાસક નાદિરશાહે મુઘલ સલ્તનત પર હુમલો કર્યો હતો અને આ રીતે કોહીનુર હીરો તેમની પાસે આવ્યો હતો. આ હીરાને ‘કોહિનૂર’ નામ નાદિરશાહે આપ્યું હતું. તેનો અર્થ થાય છે ‘પ્રકાશનો પર્વત’. નાદિરશાહ આ હીરાને પોતાની સાથે ઈરાન લઈ ગયા હતા. નાદિરશાહની હત્યા કરવામાં આવી હતી. આ રીતે આ હીરો તેમના પૌત્ર શાહરુખ મિર્ઝા પાસે આવ્યો. શાહરૂખે આ હીરા પોતાના સેનાપતિ અહમદશાહ અબ્દાલીને આપ્યો હતો. અબ્દાલી તેને અફઘાનિસ્તાન લઈ ગયો. અબ્દાલીના વંશજ શુજા શાહ જ્યારે લાહોર પહોંચ્યા ત્યારે તેમની સાથે કોહિનૂર હીરો પણ હતો. પંજાબના મહારાજા રણજીતસિંહને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેમણે 1813માં શુજા શાહ પાસેથી આ હીરા લીધા હતા. ત્યાર બાદ ભારત પર અંગ્રેજોના શાસન દરમિયાન કોહીનુર લંડન પહોંચ્યો હતો. હવે કોહીનુર પરત ભારત કયારે આવશે તે અંગે હાલ અટકળો ચાલી રહી છે.