- ગણેશપુરા ધોળકા શહેરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. જ્યાં સ્વયંભૂ પ્રગટેલી મૂર્તિના દર્શન થાય છે
- દેશનું એકમાત્ર મંદિર છે જ્યાં જમણી સૂંઢ સાથે ગણેશજી વિરાજમાન છે
અમદાવાદની નજીકમાં આવેલાં ગણપતિના યાત્રાધામ ગણપતપુરાનો ઈતિહાસ અનેરો છે. ગણેશપુરા ધોળકા શહેરની નજીકમાં આવેલું સુપ્રસિદ્ધ મંદિર છે. જે ધોળકા તાલુકાના કોઠ ગામ પાસે આવેલું છે. ધોળકાથી 20 કિ.મી જ્યારે અમદાવાદથી 75થી 80 કિ.મી અને બગોદરા નેશનલ હાઈવેથી 14 કિ.મી.ના અંતરે આ ગામ આવેલું છે. જેને લોકો ગણેશપુરા, ગણપતિપુરા,ગણપતપુરા જેવા નામથી ઓળખે છે.
આ મંદિરની ખાસિયત એ છે કે સમગ્ર ભારતમાં ન જોવા મળતી મૂર્તિ અહીંયા જોવા મળે છે. સામાન્ય રીતે દરેક જગ્યાએ ગણપતિની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય છે, જ્યારે આ મૂર્તિની સૂંઢ જમણી બાજુ વળેલી છે, તેમજ એક દંતી અને સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ છે. આ મૂર્તિ છ ફૂટ ઊંચાઇ ધરાવે છે.

મંદિરનો ઈતિહાસ
ગણેશપુરાના આ મંદિરનો ઈતિહાસ લોકદાયકા મુજબ વિક્રમ સંવત 933ના અષાઢ વદ-4ને રવિવારના રોજ હાથેલમાંની જમીનના કેરડાના જાળાના ખોદકામ સમયે ગણપતિ દાદાની મૂર્તિ પગમાં સોનાના તોડા, કાનમાં કુંડળ, માથે મુગટ તથા કેડે કંદોરા સાથે પ્રગટ થઈ હતી. વર્ષો પહેલા આ સ્થળે વન હતું. આ મૂર્તિને લઈ જવા માટે કોઠ, રોજકા અને વણકૂટા ગામના આગેવાનોમાં વિવાદ થયો હતો. ત્યાર બાદ જ્યારે મૂર્તિ ગાડામાં મૂકવામાં આવી ત્યારે ચમત્કાર થયો. ગાડું વગર બળદ ચાલવા લાગ્યું અને ગણપતિપુરાના ટેકરે જઈને ઊભું રહી ગયું અને મૂર્તિ આપમેળે ગાડામાંથી નીચે ઉતરી ગઈ. ત્યારથી તે સ્થળનું નામ ગણેશપુરા પડ્યું. એ જ દિવસે અને એ જ તિથિએ અરણેજમાં બુટભવાની માતાજી પ્રગટ થયેલાં અને તેમના પૂજારી અંબારામ પંડિતના નામ ઉપરથી અરણેજ નામ પડ્યું હતું.
ગણેશપુરામાં દર માસની વદ ચોથના દિવસે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ કરવા માટે આવતા હોય છે. ગુજરાત તેમજ બહારનાં રાજ્યોમાંથી અહીંયા લાખો લોકો ચોથના દિવસે દર્શન માટે આવે છે. અહીંયા દર્શન માટે આવતા યાત્રિકો માટે ચા-પાણી અને ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવે છે.