Published by : Vanshika Gor
વાદવિવાદના કારણે સંસદમા હોબાળો મચી જાય અને સંસદનું કામકાજ મુલ્તવી રાખવામા આવે ત્યારે પ્રજાના કરોડો રૂપિયાનો ધુમાડો થતો હોય છે. તાજેતરમા સંસદ ન ચાલતા રૂ 50કરોડ કરતા વધુનો વેડફાટ થઈ ગયો છે. તેનો હિસાબ કોણ અને કયારે આપશે તે અંગે લોકોમાં ચર્ચા ચાલી રહી છે.
સંસદમા અદાણી-હિન્ડનબર્ગ વિવાદ અંગે જેપીસીની રચનાની કોંગ્રેસ સહિત વિપક્ષની માગ તથા બ્રિટનમાં ભારત વિરોધી નિવેદન બદલ રાહુલ ગાંધી પાસે માફીની ભાજપની માગણીના ઘર્ષણમાં સંસદના બજેટ સત્રના બીજા ભાગનું એક સપ્તાહ ધોવાઈ ગયું છે. હવે આગામી સપ્તાહ પણ તોફાની બની રહેવાના સંકેત મળી રહ્યા છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે સ્પષ્ટ કર્યું છે કે રાહુલ ગાંધીના માફી માગવાનો સવાલ જ નથી તેમજ અદાણી વિવાદમાં જેપીસીની રચના મુદ્દે પણ વિપક્ષ કોઈ સમાધાન નહીં કરે. અદાણી જૂથના વિવાદમાં ૧૬ પક્ષોની સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) રચવાની વિપક્ષની માગણીથી સરકાર ગભરાઈ ગઈ છે. તેથી તે ‘૩ડી અભિયાન’ એટલે કે ડિસ્ટોર્ટ (વિકૃત કરવું), ડીફેમ (બદનામ કરવા) અને ડાઈવર્ટ (ધ્યાન ભટકાવવું)માં લાગી છે. રમેશે આક્ષેપ કર્યો કે વિપક્ષની જેપીસી રચવાની માગથી ધ્યાન ભટકાવવા માટે ભાજપ રાહુલ ગાંધી પાસે માફીની માગણી કરી રહ્યો છે જ્યારે રાહુલ ગાંધીએ શાસક પક્ષ કહી રહ્યો છે એવું કશું જ કહ્યું નથી.
તો બીજી બાજુ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યુ કે વિપક્ષ વાટાઘાટો માટે આગળ આવે તો સંસદમાં ચાલતો વર્તમાન અવરોધ દૂર થઈ શકે છે. વિપક્ષ બે પગલાં આગળ વધે તો સરકાર તેનાથી બે પગલા આગળ વધશે. જોકે, અમિત શાહની આ હાકલના જવાબમાં રમેશને પૂછવામાં આવ્યું કે સંસદમાં મડાગાંઠ દૂર કરવા કોઈ વચ્ચેનો રસ્તો નીકળી શકે છે ખરો? તો જવાબમાં કોંગ્રેસ મહાસચિવે કહ્યું, તેમને કોઈ વચ્ચેનો રસ્તો દેખાતો નથી. કારણ કે જેપીસીની અમારી માગણી અંગે કોઈ સમજૂતી થશે નહીં તથા રાહુલ ગાંધી માફી માગે તેવો કોઈ સવાલ જ ઊભો થતો નથી. વધુમા તેમણે જણાવ્યુ કે, વડાપ્રધાને ચીન, જાપાન, દક્ષિણ કોરિયા અને કેટલાક અન્ય દેશોમાં ભારતના વિપક્ષની આકરી ટીકા કરી હતી અને રાજકીય મુદ્દા ઉઠાવ્યા હતા. તેથી કોઈએ જો માફી માગવાની હોય તો તે વડાપ્રધાને માગવી જોઈએ. હવે ભાજપે રાહુલ ગાંધીનું સભ્યપદ ખતમ કરવા અંગે માગ કરી છે તેવા સવાલના જવાબમાં જયરામ રમેશે કહ્યું કે આ ધમકી આપવાનો પ્રયત્ન છે. તેમણે એમ પણ કહ્યં કે, રાહુલ ગાંધીને ગૃહમાં બોલવાની તક કેમ નથી અપાઈ? સંસદમાં વિપક્ષને બોલવા નથી દેવાતા, પરંતુ મડાગાંઠ દૂર કરવા માટે વિપક્ષને જવાબદાર ઠેરવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હકીકતમાં સંસદમાં અવરોધો માટે માત્ર ને માત્ર સત્તા પક્ષ જવાબદાર છે. નોંધવું રહ્યું કે વર્ષ ૨૦૦૮ પછી પહેલી વખત શાસક પક્ષના હોબાળાના કારણે સંસદની કાર્યવાહી સ્થગિત કરવી પડી છે.