Published By : Patel Shital
- બન્ને જળવિધુત મથકોનું અત્યાર સુધી 56,265 મિલિયન યુનિટ પાવર જનરેશન…
- વીજમથકોએ કોન્ક્રીટ અને પાવર પ્રોજેકટ પાછળનો ખર્ચ સરભર કર્યો…
- 10 વર્ષ પછી RBPH નું સૌથી વધુ વીજ ઉત્પાદન…
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમના બન્ને જળવિધુત મથકોએ માર્ચ 2023 સુધીમાં છેલ્લા 19 વર્ષમાં રૂપિયા 11,253 કરોડની વીજળી ઉત્પન્ન કરી છે.
કેવડિયા કોલોની નજીક 5 એપ્રિલ 1961 ના નવાગામ ખાતે તત્કાલીન સ્વ. વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે નર્મદા યોજનાનો પાયો નખાયો હતો. તે વખતે યોજનાનો અંદાજીત ખર્ચ ₹ 3,333 કરોડ આંકી 10 વર્ષમાં યોજના પૂર્ણ કરવાની ધારણા હતી. જો કે અંકે અંતરાયો, વિરોધ, પુન:વસન સહિતની સમસ્યા વચ્ચે 121.92 મીટરથી 30 ગેટ મૂકી ડેમની ઊંચાઈ 138.68 મીટર લઈ જવાની કામગીરી આખરે પૂર્ણ થઈ હતી. હજી નહેરોની કામગીરી બાકી છે. સમગ્ર સરદાર સરોવર નર્મદા યોજના ₹ 70,000 કરોડથી વધુને ખર્ચને સ્પર્શી ગઈ છે.

વર્ષ 2004 માં ₹ 4670 કરોડ ના ખર્ચે સ્થપાયેલ ડેમના રિવરબેડ અને કેનાલહેડ પાવરહાઉસના 11 ટર્બાઇન કુલ ક્ષમતા 1450 મેગાવોટ એ 19 વર્ષમાં 5626 કરોડ યુનિટ એટલે કે 56,265.409 મિલિયન યુનિટ વીજળી પેદા કરી છે. જે સરકારી કિંમત મુજબ ₹ 11,253 કરોડની વીજળી SSNNL ના ડેટા મુજબ ઉત્પન્ન કરી છે. જેને જોતા ડેમ પાવર હાઉસ ખર્ચ ₹ 4670 કરોડ અને 84 લાખ ઘનમીટર કોન્ક્રીટ ખર્ચ ₹ 1690 કરોડ સરભર થઈ ગયો છે. વર્ષ 2013-14 માં અત્યાર સુધી રિવરબેડ પાવર હાઉસનું ઉત્પાદન 5216 MUS સૌથી વધુ રહ્યું હતું. જે 2022-23 માં 3551 MUS થયું છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસે વર્ષ 2019-20 માં અત્યાર સુધીનું વિક્રમી 3167 મિલિયન યુનિટ પાવર જનરેશન કર્યું હતું.