Published by : Anu Shukla
- ભૂકંપ પીડિત સીરિયાના નાગરિકોને આતંકીઓએ ગોળીઓ ધરબી
- મૃતકોમાં 61 નાગરિકો અને સાત જવાનોનો સમાવેશ, સીરિયામાં આઇએસ સહિતના 15 હજારથી વધુ આતંકી સક્રિય
તુર્કીની સાથે સીરિયામાં પણ ભૂકંપે તબાહી મચાવી છે અને અનેક લોકો માર્યા ગયા છે. આ પરિસ્થિતિ વચ્ચે પણ આતંકીઓ દ્વારા સીરિયાના નાગરિકો પર હુમલા કરવામાં આવ્યા હતા. જેમાં ૬૮ લોકોના મોત નિપજ્યા હતા અને અનેક લોકો ઘવાયા હતા. માર્યા ગયેલા લોકોમાં ૬૧ આમ નાગરિકો અને સાત જવાનોનો સમાવેશ થાય છે. ઘાત લગાવીને કરવામાં આવેલા આ હુમલા પાછળ આતંકી સંગઠન આઇએસનું નામ સામે આવી રહ્યું છે.
સીરિયાના સુખનામાં આઇએસના આતંકીઓ દ્વારા એક સૈન્ય ચેકપોઇન્ટને ટાર્ગેટ કરીને આ હુમલો કરવામાં આવ્યો હતો.જે આ વર્ષનો સીરિયાનો સૌથી મોટો આતંકી હુમલો માનવામાં આવે છે. અગાઉ મૃત્યુઆંક ૫૩ હતો જ્યારે બાદમાં ઘાયલોમાંથી કેટલાકના મોત થતા સંખ્યા વધીને ૬૮ સુધી પહોંચી હતી. આતંકીઓ બાઇક પર સવાર થઇને આવ્યા હતા અને આમ નાગરિકો, સૈન્ય જે પણ જોવા મળ્યા તેમના પર અંધાધુંધ ગોળીબાર કરી દીધો હતો.
આઇએસ દ્વારા આયોજનપૂર્વક આ હુમલો કરવામાં આવ્યો હતો. જોકે હુમલાની જવાબદારી આઇએસ દ્વારા હજુસુધી નથી લેવામાં આવી પણ આ હુમલા પાછળ તેનો જ હાથ હોવાના કેટલાક પુરાવા પણ મળ્યા છે. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું છે કે અનેક પ્રયાસો છતા આઇએસએ સીરિયામાં સ્થિર ગતિથી હુમલા શરૃ રાખ્યા છે.
ઇરાક અને સીરિયામાં હાલ આઇએસ સહિતના આતંકી સંગઠનોના ૧૫ હજારથી વધુ આતંકીઓ સક્રિય છે. આ આતંકીઓ હાલ ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતો સહિતનાને વધુ ટાર્ગેટ બનાવી રહ્યા છે. સીરિયા અને ઇરાક વચ્ચેની સરહદોએ છૂપાઇને આ આતંકીઓ હુમલા કરી રહ્યા છે. સીરિયામાં આવેલા ભૂકંપમાં અત્યાર સુધીમાં છ હજારથી વધુ લોકોના મોત નિપજ્યા છે.
એવામાં આતંકીઓ દ્વારા સીરિયાના નાગરિકોને નિશાન બનાવીને કરેલા આ હુમલાની ભારે ટીકા થઇ રહી છે અને સ્થાનિકોમાં પણ આતંકીઓ પ્રત્યે રોષ વધી રહ્યો છે.