તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએસુરતની મુલાકાત લીધી હતી, અને કરોડો રૂપિયાના પ્રોજેક્ટોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા હતા. આ સમયે તેઓએ તેમના સંબોધનમાં સુરતને લઈને કહ્યું હતું કે આવનાર સમયમાં દેશમાં સુરત શહેરને ઇલેક્ટ્રિક વાહનોના શહેર તરીકે ઓળખવામાં આવશે.
થોડા સમય પહેલા જ સુરત મહાનગરપાલિકા દ્વારા ઇલેક્ટ્રિક વાહનોને લઈને ખાસ પોલિસી પણ જાહેર કરવામાં આવી હતી. જેમાં ઇલેક્ટ્રિક વાહન ખરીદનારને વાહન ટેક્સથી લઈને પાર્કિંગ સુધીમાં ઘણી રાહત આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ પોલિસી જાહેર થયા બાદ પણ શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા ખુબ ઝડપથી વધી રહી છે.શહેરમાં વાહનોથી થતા વાયુ પ્રદુષણને ઘટાડવામાં મદદ મળશે, અને એર ક્વોલિટી ઇન્ડેક્સમાં પણ સુધારો લાવી શકાશે. કોર્પોરેશનના અધિકારીના જણાવ્યા પ્રમાણે સુરતમાં હાલમાં 16 હજાર કરતા પણ વધારે સંખ્યામાં ઇલેક્ટ્રિક વાહનો રસ્તા પર દોડી રહ્યા છે.

શહેરી વિસ્તારમાં પાલિકાએ સરકારની ગ્રાન્ટની મદદથી 200 અને પીપીપી ધોરણ પર 300 ચાર્જિંગ સ્ટેશન કે ચાર્જિંગ પોઇન્ટ શરૂ કરવા માટે આયોજન કર્યું છે. હાલ જે ચાર્જિંગ સ્ટેશન ખુલ્લા મુકવામાં આવ્યા છે ત્યાં ચાર્જિંગનો યુનિટ રેટ 14 રૂપિયા રાખવામાં આવ્યો છે. આ માટે લોકો EVOLUTE-SURAT મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ પણ કરી શકશે. અથવા ટોલ ફ્રી નંબર 1800-121-2025 પર સંપર્ક કરી શકશે.ઇલેક્ટ્રિક વાહનો ચાર્જિંગ માટે એક ચાર્જિંગ સ્ટેશન દીઠ 30 લાખનો અંદાજિત ખર્ચ થયો છે. જેમાં મહાનગરપાલિકા જે ચાર્જિંગ સ્ટેશન શરૂ કરશે તેને સરકારની 70 ટકા ગ્રાન્ટ મળશે.આગામી દિવસોમાં સુરત દરેક વિસ્તારમાં પાલિકાના અને ખાનગી ચાર્જિંગ પોઇન્ટ જોવા મળશે.