સુરત શહેરના ભાગળ વિસ્તારમાં આવેલ મહાવીર મેટલ્સ નામની વાસણની દુકાનમાં વહેલી સવારે 05:30 વાગ્યાની આસપાસ અચાનક આગ લાગી ગઈ હતી. જોકે ઘટનાની જાણ થતા જ નવસારી બજાર, કતારગામ, અડાજણ, માનદરવાજા એમ કુલ 12 ફાયર વિભાગની ગાડીનો કાફલો ઘટના સ્થળે પહોંચીને ભારે જેહમતબાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. જોકે આ આગમાં કોઈ પ્રકારની જાનહાની થઈ ન હતી.

આગે જોત જોતામાં ત્રણ માળ સુધી વાસણની દુકાનને પોતાની ઝપેટમાં લઇ લીધી હતી.જેથી ફાયર વિભાગ દ્વારા અન્ય ત્રણ ફાયર સ્ટેશનની ગાડીઓ બોલાવવાની ફરજ પડી હતી. જોકે આખરે 3 કલાકની ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. આ આગમાં સંપૂર્ણ વાસણની દુકાન બળીને ખાખ થઈ ગઈ હતી.અને એ સાથે જ દુકાનમાં મૂકવામાં આવેલ એસી, કોમ્પ્યુટર, ફર્નિચર અને અન્ય સાધન સામગ્રી બળીને ખાખ થઇ ગયું હતું. આ આગ શોર્ટ સર્કિટ ને કારણે લાગી હોય તેવું અનુમાન છે.
(ઇનપુટ: જયેન્દ્ર પાંડે, સુરત)