Published By : Disha PJB
સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં ધોરણ 10ની વિદ્યાર્થીનીએ પરિણામના ટેન્શનમાં આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. હાલ આ મામલે પાંડેસરા પોલીસે આપઘાત નો ગુન્હોનોંધી આગળની તપાસ હાથધરી છે.
શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલ શિવ નગરમાં 16 વર્ષીય નૂપુર જીગ્નેશ બન્સ જેઓ ધોરણ 10 માં અભ્યાસ કરતી હતી. તેઓ ગઈકાલે પોતાના જ ઘરે પરિણામના ટેન્શનમાં દુપટ્ટા જોડે ગળે ફાસો ખાઈ આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ થતા જ પાંડેસરા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બાબતે મૃતક કિશોરીના કાકા બકુલેશ ભાઈએ જણાવ્યું કે, અમે જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ. આજે ધોરણ 10 પરિણામ જાહેર થવાનું છે તેના ટેન્શનમાં નૂપુર હતી અને તેણે બે થી ત્રણ વખત પરિવારમાં ચર્ચા કરી હતી કે મારું પેપર સારું નથી ગયું. હું ફેલ થઈ જઈશ. ત્યારે મેં તેને સમજાવ્યું હતું. પરંતુ ત્યારબાદ પણ તે હતાશ રહેતી હતી. જોકે આજે તેનું પરિણામ આવ્યું છે ત્યારે તે પાસ થઈ ગઈ છે. તે 64 ટકા સાથે પાસ થઈ છે. પરંતુ આ પરિણામ જોવા માટે નૂપુર આ દુનિયામાં રહી નથી. મને વિશ્વાસ હતો કે નૂપુર પાસ થઈ જશે. પરંતુ તે પરીક્ષામાં પાસ તો થઇ પણ પોતાની જિંદગીમાં નાપાસ થઇ ગઈ. અમારો આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
વધુમાં જણાવ્યું કે, ગઈકાલે સાંજે અમે બધા બહાર બેઠા હતા ત્યારે નૂપુર બહાર બેસવા માટે આવી ન હતી. પછી અમે નૂપુરને બૂમો પાડી બોલાવી પણ તે આવી નહિ. તેની મમ્મી અંદર ગઈ ત્યારે તેણે બુમાબુમ કરી અને અમે અંદર ગયા તો તે રૂમમાં લટકતી જોવા મળી હતી. અમે તેને નીચે ઉતારી 108 એમ્બ્યુલન્સ મારફતે નવી સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસી મૃત જાહેર કરી હતી.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.