- લીવર અને બંન્ને કિડનીનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં દસમું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.લીવર અને બંન્ને કિડનીનું દાન કરી ત્રણ વ્યક્તિઓને નવજીવન આપ્યું છે.
સુરત શહેરના ન્યુ સિટીલાઈટ રોડ ઉપર આવેલ એસએમસી ક્વાટર્સ માં રહેતા ૩૮ વર્ષીય અનિલભાઈને અશોક ખંડારેની ૩જી ડિસેમ્બરના રોજના રોજ રાત્રિ દરમિયાન અચાનક તબિયત લથડતા પરિવાર દ્વારા ૧૦૮ એમ્બ્યુલન્સમાં તાત્કાલિક નવી સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ આઈ.સી.યુ.માં શિફ્ટ કરીને સિટી બ્રેઈન રિપોર્ટ કરતા અનિલ ખંડારેને વધુ બ્લડ પ્રેશર હોવાથી મગજનું હેમરેજ થયું હોવાનું નિદાન થયું હતું.
તેમના સ્વસ્થ થવાની સંભાવના ન હોવાથી તેમની સારવાર દરમિયાન ગત તા.૪થીના રોજ નવી સિવિલના ન્યુરોફિઝીશ્યન ડો.જય પટેલે અનિલભાઈને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. સ્ટેટ ઓર્ગન એન્ડ ટીસ્યુ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગ. SOTTO અને નોટોના ઓર્ગન ડોનેશન ટીમના સભ્યો તેમજ સિવિલના આર.એમ.ઓ. ડો.કેતન નાયક સહિત સિવિલની તબીબી ટીમ દ્વારા આ અંગેની પરિવારજનોને જાણકારી આપી તેમજ અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી.ત્યારે સ્વ.અનિલભાઈના પરિવારે અંગદાનની મંજૂરી આપી હતી.
અંગદાનની કામગીરી સુરત સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.ગણેશ ગોવેકર, RMO ડો.કેતન નાયક, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી. ઉપરાંત અંગદાનના સેવા કાર્યમાં સુરત પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલથી કામરેજ સુધી ગ્રીન કોરિડોર તૈયાર કરવામાં આવ્યો હતો.
પરિવારજનોની સહમતિ મેળવ્યા બાદ અમદાવાદની ઈન્સ્ટીટયુટ ઓફ કિડની ડિસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટર-IKDRC ને નિયત ગાઈડલાઈન મુજબ લીવર અને બન્ને કિડની ફાળવવામાં આવ્યા હતા. તેમના અંગદાનથી ત્રણ વ્યક્તિઓને નવજીવન મળ્યું છે.