Published By : Disha PJB
સુરત શહેરમાં એક દીવાલ ધરાશયી થતા મોપેડ ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે જોકે યુવકને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, બિપરજોય વાવાઝોડું આખા દક્ષિણ ગુજરાતમાંથી પસાર થઇ ગયું છે. પરંતુ તેની અસરના કારણે હજી પણ સમગ્ર સુરત શહેરમાં આશરે 30 થી 35 કીમીની ઝડપે પવન ફૂંકાય રહ્યા છે. જેને કારણે સુરતમાં ઠેક ઠેકાણે વૃક્ષ ધરાશયી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ક્યાંક જુના મકાનોના પતરા ઉડી રહ્યા છે તો ક્યાંક જર્જરિત દીવાલો પવનને કારણે ધરાશયી થઇ રહી છે.
મળતી માહિતી અનુસાર ભારેપવનોને કારણે શહેરના લાલાગેટ વિસ્તારમાં આવેલ રાણી તળાવ પાસે આજે બપોરે 1 વાગ્યાની આસપાસ એક યુવક મોપેડ ઉપર જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ એક પતરું ઉડીને આવ્યું હતું અને યુવકના માથાના ભાગે વાગતા યુવક ગાડી સાથે પડી ગયો હતો. યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેને તાતકાલિક ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો હાલ યુવકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

તો બીજી બાજુ તે જ સ્થળે દીવાલ પણ ધરાશયી થતા અજાણીયા વ્યક્તિને સામાન્ય ઈજાઓ પોહચી હતી.
બિપરજોય વાવાઝોડાની અસરના કારણે શહેરમાં ઘણી જગ્યાઓ ઉપર પતરાઓ ઉડી રહ્યા છે.જે સ્થળો પતરાઓ ઉડી રહ્યા છે તે તમામ જગ્યાઓ ઉપર ફાયર વિભાગ દ્વારા પતરું નીચે ઉતારી સલામત સ્થળે મુકવામાં આવી રહ્યા છે. તે ઉપરાંત છેલ્લા 6 દિવસમાં કુલ 134 વૃક્ષો ધરાશયી થયા છે. જેમાં 6 વૃક્ષો પાર્ક કરવામાં આવેલી ગાડીઓ ઉપર પડતા નુકશાન પણ થયું છે.
ઇનપુટ : જયેન્દ્ર પાંડે, સુરત.