Published by : Anu Shukla
- વાલીમંડળે મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પત્ર લખી ફી નહીં વધારવા માંગ કરી
ગુજરાતમાં ફરીવાર ફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે. સ્કૂલ સંચાલકો અને વાલી મંડળે ફી વધારાને લઈને માંગ કરી રહ્યાં છે. સ્કૂલ સંચાલકોએ FRCએ નક્કી કરેલા ફીના સ્લેબમાં 5000 રૂપિયાનો વધારો માંગ્યો છે. જ્યારે વાલી મંડળે આ વધારો નહીં આપવા માંગ કરી છે. વાલી મંડળે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને આ અંગે પત્ર પણ લખ્યો છે. વાલીમંડળનું કહેવું છે કે ગુજરાતમાં ફીનો મુદ્દો હાલ સુપ્રિમ કોર્ટમાં છે જેનો હજી સુધી કોઈ ચુકાદો આવ્યો નથી. જેથી કોઈ નિર્ણય લઈ ના શકાય.
ફીના સ્લેબમાં 5000 રૂપિયાનો વધારો કરવા માંગ
છેલ્લા ત્રણ વર્ષમાં કોરોનાના કારણે વાલીઓની સ્થિતિ કથળી થઈ છે. બાળકોને ઓનલાઈન શિક્ષણથી ગેરલાભ પણ થયો છે તો ફી વધારાની જગ્યાએ બાળકોને 5,000નો ઘટાડો સ્કૂલોએ આપવો જોઈએ. બીજી તરફ વર્ષ 2017માં ફી રેગ્યુલેટરી કમિટી દ્વારા ખાનગી સ્કૂલોની ફી માટેનો સ્લેબ નક્કી કરવામાં આવ્યો હતો. પાંચ વર્ષથી એક જ સરખો સ્લેબ હોવાથી રાજ્યના શાળા સંચાલકોએ સરકાર પાસે ફીના સ્લેબમાં 5000 રૂપિયાનો વધારો કરવા માંગણી કરી હતી.
વાલીમંડળે ફી વધારવાનો વિરોધ કર્ચો
સ્કૂલ સંચાલકોએ ફીમાં વધારો માંગતા ઓલ ગુજરાત વાલી મંડળ દ્વારા પણ સરકાર પાસે ફી ન વધારવા માંગણી કરવામાં આવી છે. ઓલ ગુજરાત વાલી મંડળે મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખીને જણાવ્યું છે કે, શાળા સંચાલક મંડળ દ્વારા ફી મામલે સુપ્રીમ કોર્ટમાં પિટિશન કરવામાં આવી છે. આ પિટિશનનો નિર્ણય હજુ સુધી આવ્યો નથી, જેથી ફીમાં વધારો ન આપવો જોઈએ. સ્કૂલોએ છેલ્લા 5 વર્ષમાં સ્લેબ કરતા ફીમાં વધારો કર્યો જ છે. 2017થી FRCમાં જે ફી મંજુર કરવામાં આવી છે તે ગેરવ્યાજબી છે.