- ભરૂચ-અંકલેશ્વરમાં આવેલી 305 ઘાણીઓ પૈકી આજે 2 જ અસ્તિત્વમાં
- હાલ શિયાળાની મૌસમમાં કચરિયું અને તલની શાનીની પણ ભારે ડિમાન્ડ
- પહેલા બળદ જોડી ઘાણીનું તેલ કઢાતુ જેનુ સ્થાન આજે મોટરે લીધુ
- આરોગ્યપ્રદ ઘાણીનાં શુદ્ધ તેલનો 93 વર્ષ જૂનો વ્યવસાય ભરૂચનાં કોરલવાલા પરિવારે અકબંધ રાખ્યો
કાશી કરતા પણ સૌથી પ્રાચીન ભારતનું ભરૂચ શહેર વેપાર , બંદર , કાપડ , ખારીસીંગ , સુજની જ નહિ 93 વર્ષ પૂર્વે ઘાણીના તેલ માટે પણ વિખ્યાત હતુ. અંગ્રેજો પણ ઘાણીનું તેલ આરોગી સ્વસ્થ અને મસ્ત રહેતા હતા. જોકે સમયની થપાટો , આધુનિકતા અને હરિફાઈ , નેશનલ , મલ્ટીનેશનલ કંપનીઓના વાવાઝોડા વચ્ચે તેલની ઘાણીઓ ઈતિહાસમાં દફન થઈ જવા સાથે ભરૂચ અને અંકલેશ્વરમાં આવેલી 305 ઘાણીઓ પૈકી આજે માત્ર 2 જ અસ્તિત્વ ધરાવે છે. હાલ કચરિયું અને તલની શાનીની પણ ભારે માંગ જોવા મળી રહી છે.

રીફાઈન , ડબલ રીફાઈન કેમિકલ અને ભેળસેળિયા તેલ કરતા ઘાણીનું શુદ્ધ તેમજ આરોગ્યવર્ધક તેલ ઉત્તમ હોય ભરૂચનાં આ સ્વદેશી ઘાણીના તેલની શાખ આજે પણ અમેરિકા , લંડન અને દુબઈ સહિત સમગ્ર ગુજરાતમાં અકબંધ રહી છે. આજની પેઢીએ બળદથી તેલ કાઢતી ઘાણીઓ જોઈ કે તેના વિશે સાંભળ્યુ પણ નથી.
જોકે વર્ષ 1930 નાં સમયમાં ઘાણીનું તેલ જ લોકો આરોગતા હતા. ભરૂચમાં શાસન કરતા અંગ્રેજો , મુઘલો , ડચ , વલંદા અને ફિરંગીઓ પણ આ સ્વાસ્થ્ય વર્ધક અને ગુણકારી તેલ આરોગવામાંથી બાકાત રહ્યા ન હતા. ભરૂચ અને અંકલેશ્વરમાં 93 વર્ષ પહેલા 305 તેલની ઘાણીઓ ધમધમતી હતી.
જેમાં રોજ સીંગતેલ , તલ , કોપરેલ , સરસવ , દીવેલ , બદામ , અળસી , લીમડા , સફેદ – કાળા તલનું તેલ પીલવામાં આવતુ હતુ. ઘાણીનું તેલ કાઢવા બળદોને જોતરવામાં આવતા હતા. કાળક્રમે ભરૂચની વેપારી તેમજ બંદરની છાપ અને અસ્મિતા ભુસાવા સાથે ઘાણીનું તેલ સહિત ઉદ્યોગ પણ ભૂતકાળ બની ગયો હતો. આધુનિક યુગના મંડાણ સાથે ઓઈલ મિલો શરૂ થઈ જતા આરોગ્યવર્ધક ઘાણીના તેલથી વિમુખ થતા લોકો રીફાઈનરીના તેલ તરફ વળ્યા હતા.

જેના પગલે ભરૂચ અને અંકલેશ્વરની 305 તેલની ઘાણીઓ પણ સમયાંતરે બંધ થવા સાથે તેનો વ્યવસાય કરતા મોદી , મહેતા , ગાંધી ઘાંચી સમાજનાં લોકો અન્ય વ્યવસાય તરફ વળ્યા હતા. આજે જુના ભરૂચમાં કોરલવાલા પરીવારની માત્ર એક જ તેલની ઘાણી ધમધમી રહી છે. જેઓએ પોતાની બીજી શાખા વડદલા પાસે ઓસારા જતા માર્ગ ઉપર ખોલી છે.
બળદથી ઘાણીનું તેલ પીલવાની પરંપરા પણ આધુનિક યુગમાં ખતમ થતા હાલ ઈલેકટ્રીક મોટરથી ઘાણીનું તેલ પીલવામાં આવે છે. બજારમાં મળતા ફેકટરીઓના તેલ કરતા ઘાણીના તેલની કિંમત બમણી છે પરંતુ લોક આરોગ્ય માટે તે સ્વાસ્થ્ય વર્ધક અને 100 ટકા ફાયદાકારક છે. જેનાથી જુજ લોકો જ વાકેફ છે.
આપણા સ્વદેશી આ વ્યવસાય અને તેની કિંમત આજે પણ વિદેશીઓ વધુ સમજે છે એટલે જ ભરૂચની સ્વદેશી ઘાણીના તેલનો વપરાશ અમેરિકા , ઈંગ્લેન્ડ અને દુબઈના લોકો અહીંથી લઈ જઈ કે મંગાવી કરી રહ્યા છે.

8 કિલો બીજમાંથી માત્ર 4 કિલો નીકળતુ તેલ
કોરલવાલા પરીવાર ભરૂચ અને અંકલેશ્વરમાં એકમાત્ર તેલની ઘાણીના વ્યવસાયમાં હજી જોડાયેલો છે. તેમણે જણાવ્યુ હતુ કે , તેલીબીયાના 8 કિલો બીજ ઘાણીમાં પીલતા માત્ર 4 કિલો જ તેલ નીકળે છે. જેમાં તમામ પોષક તત્વો અકબંધ રહે છે.
કેન્સર , હાર્ટ એટેક , બીપી , ડાયાબીટીસ , સાંધાના દુખાવા સહિતમાં અકસીર
ઘાણીના તેલ કાઢવાની પ્રક્રિયામાં તાપમાન 1 થી 5 ડિગ્રી જ હોવાથી બીજમાં રહેલા તમામ પોષક તત્વો અને ચીકાશ અકબંધ રહે છે. જયારે રીફાઈનરીમાં તેલની પ્રોસેસ દરમિયાન તાપમાન 300 ડિગ્રી સુધી હોય છે. જેને લઈ તમામ પોષક તત્વો અને શરીર માટે ઉપયોગી દ્રવ્યો નષ્ટ પામે છે. જેની સામે હાનિકારક ચીજો ભળે છે. આજે ફેકટરીના રીફાઈન , ડબલ ફિલ્ટર અને કેમિકલ પ્રોસેસથી બનાવેલા તેલના કારણે જ લોકોમાં નાની ઉંમરે તમામ બીમારીઓ ઘર કરી રહી છે
નોકરી નહિ કરી પરંપરાગત વ્યવસાયમાં સંકેતે 5મી પેઢીએ ઝંપલાવ્યુ
ભરૂચનાં સ્વ. શીવલાલ છગનલાલ કોરલવાલાના પૂર્વજોનો આ પરંપરાગત વ્યવસાયને સંકેતે જીવંત રાખ્યો હોય તેમના પરીવારને ગર્વ છે. આજે તેમની પાંચમી પેઢીના સંકેત કોરલવાલા પણ સ્નાતક થયા બાદ બીબાઢાળ નોકરીમાં નહિ જોડાઈ પેઢીગત ચાલતા આ વ્યવસાયમાં જોડાઈ ગયા છે અને વડદલા પાસે ઓસારા જવાના માર્ગે બીજી તેલની ઘાણી શરૂ કરી દીધી છે
પૂર્વ કલેકટર, રાજકારણીઓ , અધિકારીઓ આરોગતા ઘાણીનું તેલ
ઘાણીના તેલના ગ્રાહક વર્ગ પણ વિશેષ છે. ગુણકારી , અકસીર , પૌષ્ટીક અને આરોગ્યપ્રદ ઘાણીનું તેલ ભરૂચના પૂર્વ કલેકટર , રાજકારણીઓ , અધિકારીઓ , વૈદો , તબીબો સહિત અનેક મહાનુભવો આરોગી ચુક્યા છે અને આજે પણ આરોગે છે.
ઘાંચી સમાજ જ વ્યવસાયમાં હોવાથી કહેવત પડી ઘાંચીની ઘાણી
ભરૂચા ઘાણીના તેલનો ઈતિહાસ પણ રસપ્રદ છે. ભરૂચ અને અંકલેશ્વરમાં 1930 નાં અરસામાં 19મી સદીમાં ભરૂચમાં 200 તેમજ અંકલેશ્વરમાં 105 ઘાણી બળદથી જોતરી ધમધમતી હતી. આ વ્યવસાયમાં પરંપરાગત ઘાંચી સમાજ જ હોવાથી કહેવત પણ પડી હતી કે ઘાંચીની ઘાણી જે આજે પણ વડીલોમાં યર્થાથ અને સાર્થક પુરવાર થઈ રહી છે.