- ચેનલ નર્મદા આયોજિત સ્પર્ધામાં રુકમણી દેવી રૂંગટા વિદ્યાલયના શિક્ષિકાને વિશેષ સન્માન
- શિક્ષક દિને તેઓને રૂ. ૫૧ હજાર રોકડાથી પુરસ્કૃત કરાયા
આપની પોતાની ચેનલ ચેનલ નર્મદા તેના રજત જયંતી વર્ષની ઉજવણી કરી રહ્યું છે જેના ભાગરૂપે વિવિધ ક્ષેત્રના લોકોને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. ચેનલ નર્મદા દ્વારા નારાયણ વિદ્યા વિહારના આચાર્ય મહેશભાઈ ઠાકરના ધર્મપત્ની સ્વ. દિપીકાબેન ઠાકરની યાદમાં શ્રેષ્ઠ શિક્ષકને સન્માનિત કરવાનું આયોજન કર્યું હતું જેમાં રુકમણી દેવી રૂંગટા વિદ્યાલયના શિક્ષિકા ઉલ્લાસબહેન મોદી વિજેતા બન્યા હતા જેઓનું આજરોજ શિક્ષક દિનના દિવસે સન્માન કરવામાં આવ્યું .
ચેનલ નર્મદા દ્વારા સારસ્વતોનું સન્માન કરવાનું નક્કી કરાયું હતું અને જીલ્લાના એવા શ્રેષ્ઠ શિક્ષક કે જેઓ શિક્ષણ, વિદ્યાર્થી ઘડતર, અભ્યાસિક પ્રવૃત્તિઓ દ્વારા શાળાને ગૌરવવંત કરવાનું ઉત્તમ કાર્ય કરતા હોય. ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના પૂર્વ પ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષકો, કોલેજના પ્રોફેસર તેમજ શાળા સંચાલકો માટે આ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ૧૪ જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો. નિર્ણાયકોની પેનલ દ્વારા વિવિધ મુદ્દાઓની ચકાસણી કરી અને તેઓને જે ફોર્મ આપવામાં આવ્યું હતું તેમાં ભરેલ વિગતોના આધારે શ્રેષ્ઠ શિક્ષક જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં રુકમણી દેવી રૂંગટા વિદ્યાલયના ગણિત અને વિજ્ઞાન વિષયના શિક્ષિકા ઉલ્લાસબહેન મોદીએ આ સ્પર્ધા જીતી હતી. આજરોજ તેઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. નારાયણ વિદ્યાવિહાર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ચેનલ નર્મદાના ડીરેક્ટર ઋષિ દવે, નરેશ ઠક્કર, બ્યુરોચીફ જીગર દવે, નારાયણ વિદ્યાવિહારના આચાર્ય મહેશભાઈ ઠાકર સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં તેઓને સન્માનિત કરવામાં આવ્યા હતા તેઓને પુસ્તક, પુષ્પગુચ્છ, શાલ ઓઢાળી સન્માન કર્યા બાદ તેઓને રૂ. ૫૧ હજારનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.
ઉલ્લાસબહેન મોદીએ જણાવ્યું હતું કે એક શિક્ષક એ સારા નાગરિકનું ઘડતર કરે છે અને મને ગૌરવ છે કે હું શિક્ષક છું. આજે વિશેષ સન્માન મળ્યું છે તે બદલ તેઓએ ચેનલ નર્મદા તથા સહુનો આભાર વ્યક્ત કર્યો હતો
ચેનલ નર્મદાના ડીરેક્ટર નરેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે જીવનની કોઈ પલ એવી નથી જ્યાં ગુરુની જરૂર ન હોય. જીવનમાં કંઇકને કંઇક શીખતા રહીએ છે અને તે કામ શિક્ષક કરે છે. આજે શિક્ષક દિવસ નિમિત્તે સર્વે ગુરુજનોને વંદન.